Site icon Shri Nutan Saurashtra

હિન્દુ ધર્મની રક્ષા માટે શનિવાર- મંગળવારે શેરી-ગલીઓમાં સમૂહમાં હનુમાન ચાલીસા ગાવઃ Praveen Togadia

Jamnagar,તા.૨૪

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે દર શનિવારે અને મંગળવારે શેરી-ગલીઓમાં લોકોને સમૂહમાં હનુમાન ચાલીસા ગાવા અપીલ કરી હતી.

જામનગરની મુલાકાત દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, દર શનિવારે અને મંગળવારે લોકોએ શેરીઓમાં સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ. દેશભરમાં હનુમાનચાલીસાના આવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાઓને લઇને ડો.તોગડીયાએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ વખોડવાને પાત્ર છે. પથ્થરમારાને પથ્થર જેહાદ ગણાવી સરકાર આવા તત્વો સામે કડક હાથે કામ કરે તેવી માંગણી કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે દેશમાં જેહાદીઓની હિમ્મત સતત વધી રહી છે. આ સામે લોકોએ હવે હિમ્મત દેખાડી જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે. નવરાત્રિમાં વિધર્મી લોકો માટે સંપૂર્ણ પ્રતિબંધની તરફેણ કરતા તેઓએ જણાવ્યું કે, નવરાત્રિએ માતાજીની ઉપાસનાનું પર્વ છે. વિધર્મીઓ મૂર્તિપૂજામાં માનતા ન હોવાથી તેઓને પ્રવેશવા દેવા જોઇએ નહીં.

તેમણે તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની કથિત ઘટનાની પણ નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતભરમાં કોઇ હિન્દુ મંદિરમાં આવુ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જામનગરમાં હવાઇચોકમાં આવેલ હિંગળાજ માતાના મંદિરે પહોંચ્યા બાદ વેજુમાં વાડી સુધી ડો.તોગડીયાના સ્વાગતમાં હિન્દુ યુવકોએ બાઇક રેલી પણ યોજી હતી.

 

Exit mobile version