Haren Pandya Murder Case ના દોષિત અનસ માચીસવાલાને સજા માફી નહીં મળે,હાઈકોર્ટ

Ahmedabad,તા.૧૯

ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યાનો કેસ ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. હરેન પંડ્યાની હત્યાના ચકચાર ભર્યા કેસમાં ૧૨ આરોપીઓ દોશી ઠરેલા હતા. તે પૈકીના એક દોષી અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી ગુજરાત સરકારે ફગાવી દીધી છે. આ અંગેની જાણ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી ત્યાર પછી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આરોપી અનસ માચીસવાલાના પેરોલ દસ દિવસ માટે લંબાવી દીધા છે.

વાત કરીએ હરેન પંડ્યા હત્યા કેસની તો આ કેસમાં ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ૧૨ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. એમાંથી એક આરોપી અનસ માચીસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૂપે જેલમાં ૧૩ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજ્ય સરકારે અરજી દાખલ કરી હતી. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ના નિર્ણય મારફતે સજા માફી અંગેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

અનસ માચીસવાલાને આ દરમિયાન જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યો હતો. જેથી તેણે વધુ દસ દિવસ પેરોલ લંબાવવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી સરકાર દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે અને હાઇકોર્ટે સરકારના આ હુકમને રેકોર્ડ પર લીધો અને તેના પછી માચીસવાલાના પેરોલને વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવ્યુ.

નોંધનીય છે કે ગુજરાતના તત્કાલીન પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની લો ગાર્ડન પાસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને તારીખ ૨૬ માર્ચ ૨૦૦૩ ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. હરેન પંડ્યા હત્યા કેસમાં ૧૨ દોષીતોને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા આપી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં હુકમ રદબાદલ ઠરાવી આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના હુકમને પલટી આ કેસના ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Leave a Comment