Shri Nutan Saurashtra

Gujarat High Court,માં 3 નવા જજોની નિમણૂક, સુપ્રીમ કોર્ટની ભલામણને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Gujarat,તા,09

 ગુજરાત હાઇકોર્ટમાં વધુ ત્રણ ન્યાયમૂર્તિઓની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટની કોલેજીયમે થોડા દિવસ પહેલાં કરેલી ભલામણના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેને પગલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી. એન. રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક કરાઈ છે. આ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક સાથે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વિશે જાહેરનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.

ત્રણ વકીલોને હાઇકોર્ટ જજ તરીકે નિયુક્ત કરાયા

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સાથે સલાહ બાદ ત્રણ વકીલોને હાઇકોર્ટ જજ તરીકે નિયુકત કરવા બાબતની ભલામણ 22 ડિસેમ્બર, 2023ના દિવસે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઑગસ્ટ 2024માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈની કોલેજીયમે આ નામોને લઈને જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા મટીરીયલ્સ, દસ્તાવેજો સહિતની બાબતોની ચકાસણી કરાઈ હતી અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની ફાઇલમાં કરાયેલા તારણોને ધ્યાને લેવાયા હતાં.

જાહેરનામું બહાર પાડી કરી જાહેરાત

સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી આ ભલામણનો કેન્દ્ર સરકાર દ્વારા આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે, અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરોકત ત્રણેય મહાનુભાવોને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુકત કરી દેવાયા છે. જે અંગે કેન્દ્રએ સત્તાવાર જાહેરનામું પણ રજૂ કર્યું હતું.

Exit mobile version