Site icon Shri Nutan Saurashtra

Medical And Life Insurance પર GSTથી સરકારને 21 હજાર કરોડથી વધુ આવક થઈ

New Delhi,તા.06

એકબાજુ દેશભરમાં મેડિકલ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી દૂર કરવા તથા ઘટાડવાની માગ થઈ રહી છે, ત્યારે બીજી બાજુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ સેક્ટરમાં લાગુ જીએસટીના લીધે સરકારને રૂ. 21256 કરોડની આવક થઈ છે. 2023-24માં રૂ. 8263 કરોડ જમા થયા છે. એક સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતુ કે, 2022થી 2024 સુધી મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ હેઠળ રૂ. 21 હજારથી વધુ જીએસટી કલેક્ટ કરવામાં આવ્યો છે. જ્યારે રિન્યુઅલ પેટે રૂ. 1500 કરોડ મળ્યા હતા.

મેડિકલ ઈન્સ્યોરન્સ પર 18 ટકા જીએસટી

જુલાઈ, 2017થી નવી વ્યવસ્થા લાગુ થયા બાદ મેડિકલ ઈન્સ્યોરન્સ પર 18 ટકા જીએસટી લાગુ છે. લાઈફ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પર જીએસટીના રેટમાં છૂટ તથા દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ નીતિન ગડકરીએ પણ નાણા મંત્રીને પત્ર લખી આ ઈન્સ્યોરન્સ પર લેવાતો ટેક્સ રદ કરવા અપીલ કરી હતી. મંત્રીએ કહ્યું કે, સમાજના ગરીબ વર્ગો અને દિવ્યાંગો માટે અમુક ઈન્સ્યોરન્સ યોજનાઓમાં જીએસટી દૂર કરવો જોઈએ. આપણે લોકોના જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ વસૂલી રહ્યા છીએ. ઈન્સ્યોરન્સ પર જીએસટીથી પ્રીમિયમનો બોજો વધે છે. અને વીમાધારકોએ વધુ ખર્ચ કરવો પડે છે.

ફાઈનાન્સિયલ સર્વિસ પર જીએસટી

1 જુલાઈ, 2017થી લાગૂ જીએસટીએ ભારતની ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યા છે. જીએસટી એ ઈનડાયરેક્ટ ટેક્સ છે. જે સ્થાનિક પ્રોડક્ટ્સ, કપડાં, લકઝરી વસ્તુઓ, કન્ઝ્યુમર ગુડ્સ, ઈલેક્ટ્રોનિક્સ, પરિવહન, રિયલ એસ્ટેટ જેવી અનેક સેવાઓ પર લાગુ છે. ટર્મ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ઈન્સ્યોરન્સ બંનેમાં 18 ટકા જીએસટી લાગુ છે.

ઉલ્લેખનીય છે, જીએસટી પહેલાં તેના પર 15 ટકા ટેક્સ લાગુ થતો હતો. પરંતુ જીએસટી બાદ વીમાધારકો પર 3 ટકા બોજો વધ્યો છે.

Exit mobile version