રૂપિયા ર૫,૦૦૦ થી માંડીને ૮૫,૦૦૦ હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી
Gandhinagar, તા.૧૨
તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે વડોદરાના રહીશોની ઘરવખરીથી માંડીને વેપાર-વાણિજ્ય ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં ૫,૦૦૦ થી માંડીને ૮૫,૦૦૦ હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક ૫ લાખથી વધુનું ટર્નઓવર કરતાં વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારીધારકને ૫,૦૦૦ સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂ. ૮૫,૦૦૦ રોકડ સહાય જાહેર કરી છે.
– લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. ૫,૦૦૦ ની રોકડ સહાય
– ૪૦ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. ૨૦,૦૦૦ ની રોકડ સહાય
– ૪૦ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. ૪૦,૦૦૦ ની રોકડ સહાય
– નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. ૮૫,૦૦૦ રોકડ સહાય
– માસિક ટર્નઓવર રૂ. ૫ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. ૨૦ લાખ સુધીની લોન પર ૩ વર્ષ સુધી વ્યાજસહાય ૭% ના દરે રૂ. ૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.