Site icon Shri Nutan Saurashtra

Godhra school માં દાઝી ગયેલી બાળકીનું મોત, જવાબદાર શિક્ષકો સામે પરિવારે નોંધાવી ફરિયાદ

Godhra,તા.21

પંચમહાલના ગોધરાની કાજીવાડા ગુજરાતી પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થિનીનું જ્વલનશીલ પદાર્થથી દાઝી ગઈ હતી. જેનું 35 દિવસની સારવાર બાદ મોત થયું છે. ગત 16 ઑગસ્ટે શાળાના ક્લાસરૂમાં વિદ્યાર્થિની દાઝી ગયા પછી તેને પહેલા ગોધરા અને બાદમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં આજે શનિવારે લાંબી સારવાર બાદ વિદ્યાર્થિનીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પરિવારજનોએ ગોધરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

વિદ્યાર્થિનીનું દાઝી જવાથી સારવાર દરમિયાન મોત

દાઝી ગયેલી વિદ્યાર્થિનીની સારવારની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષકોને સોંપી હતી. ગોધરાની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની તબિયતમાં સુધારો ન થતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પરિવારે સારવાર માટે શિક્ષકોને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ શિક્ષકોએ સારવાર માટે પૈસા આપવાની ના પાડી હતી. અંતે પૈસાના અભાવે યોગ્ય સારવાર ન મળતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

પરિવારજનોએ જવાબદાર શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી

વિદ્યાર્થિનીના પરિવારજનોએ જવાબદાર શિક્ષકો સામે રોષ વ્યક્ત કર્યો છે અને શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને FSLની ટીમે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થિનીના મોત બાદ શાળાને તાળા મારી દેવાયા

સમગ્ર ઘટનાને લઈને ખાતાકિય તપાસ બાદ શાળાના શિક્ષકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતા, શાળાના આચાર્ય દ્વારા શાળાનો પ્રવેશદ્વાર અંદરથી બંધ કરીને તાળા મારી દેવામાં આવ્યો હતો. જેને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

Exit mobile version