Site icon Shri Nutan Saurashtra

Ganiben Thakor ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૨૦ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી

Palanpur,તા.૨૪

ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની ૨૭ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે.  જી હા…ગેનીબેન ઠાકોરે ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૨૦ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત ૭ ટકા જ અનામત મળવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માગણી કરી છે. ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર અને વણઝારા સહિતની ૨૩થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને ૨૭ ટકામાંથી ૨૦ ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ઊભો કરવાની ગેનીબેન ઠાકોરે માગણી કરી છે.

ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ઓબીસી સમાજની ૫થી ૧૦ જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે  ઓબીસી  અનામતનો લાભ ફક્ત ૫-૧૦ જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે. બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે જ્યારે તેમણે ખાલી કરેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમણે ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે.

તો એક તરફ જાતિ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માગણી કરી છે. તેમણે અન્ય રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારનો ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે.

 

Exit mobile version