Israel,તા,03
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં બુધવારે (2 સપ્ટેમ્બર) ગુટેરેસે પોતાની વાત મુકી હતી.
ગુટેરેસે ઈરાનની નિંદા કરતા કહ્યું, ‘મધ્ય પૂર્વમાં ભડકેલી આગ નરક બની રહી છે. ઠીક એક અઠવાડિયા પહેલાં, મેં સુરક્ષા પરિષદ લેબેનોનમાં ભયાનક સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ત્યારથી જ પરિસ્થિતિ વધુ વણસી રહી છે. જેમ કે, મેં ગત અઠવાડિયે પરિષદને જણાવ્યું હતું કે, બ્લૂ લાઇનમાં વર્ષોથી તણાવ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓક્ટોબરમાં ગોળીબારનો વ્યાપ, ઊંડાણ અને તીવ્રતા વધી ગઈ છે.’
લેબેનોનની સંપ્રભુતા અને સન્માનની વાત કરી
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું, ‘મેં પહેલા પણ આ વાત પર ભાર મૂક્યો હતો કે, લેબેનોનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અંખડિતતાનું સન્માન કરવું જોઈએ તેમજ લેબેનોન રાજ્યને પણ સંપૂર્ણ લેબેનોનમાં હથિયારો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ. મધ્ય પૂર્વની હાલતમાં નાટકીય વૃદ્ધિ જોવા મળી રહી છે. એટલું જ નહીં એટલું નાટકીય છે કે, મને આશ્ચર્ય થાય છે કે, કાઉન્સિલ દ્વારા સંકલ્પ 1701 સાથે સ્થાપિત માળખાનું શું વધ્યું છે?’
ઈરાનના હુમલાથી પેલેસ્ટાઇનની પીડા ઓછી નહીં થાય
ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા વિશે બોલતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું, ‘જેમ કે, મેં એપ્રિલ 2024 માં ઈરાની હુમલાના સંબંધિત કહ્યું હતું, તે જ હું અત્યારે પણ કહી રહ્યો છું. હું ફરીથી ઈઝરાયલ પર ઈરાન તરફથી કરવામાં આવેલા મોટા મિસાઇલ હુમલાની નિંદા કરૂ છું. આ હુમલો મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલાં પેલેસ્ટાઇનના લોકોની પીડાને ઓછી કરવા માટે કંઈ નથી કરતું.’
ગાઝામાં તત્કાલ યુદ્ધ વિરામની અપીલ
ગુટેરેસે ગાઝામાં થઈ રહેલાં હુમલા પર વાત કરતા કહ્યું કે, ‘હમાસ તરફથી ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો તેનું એક વર્ષ વીતી ગયું છે. ત્યારબાદ ઈઝરાયલ તરફથી થઈ રહેલી કાર્યવાહીમાં ગાઝામાં પેલેસ્ટાઇનના લોકો તરફથી સહન કરવી પડતી પીડા અકલ્પનીય છે. ગાઝામાં તત્કાલ યુદ્ધ વિરામનો સમય આવી ગયો છે. હમાસને પણ તમામ બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ આપવી જોઈએ.’
એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધ
વળી, બીજી બાજુ મંગળવારે (2 ઓક્ટોબર) ઈઝરાયલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈઝરાયલના વિદેશ મંત્રી કેટ્ઝએ કહ્યું કે, દેશને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પર્સોના નોન ગ્રાટા (એવો વ્યક્તિ જેને હવે કોઈ સન્માન અથવા સ્વાગત નહીં મળે) ઘોષિત કરી દીધું છે અને ઈઝરાયલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેટ્ઝએ કહ્યું કે, જે કોઈપણ ઈરાનનો ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની નિંદા નથી કરી શકતું, તે ઈઝરાયલમાં પ્રવેશ કરવાનો હકદાર નથી. ગુટેરેસે અત્યાર સુધી 7 ઓક્ટોબરે હમાસ તરફથી કરવામાં આવેલા નરસંહાર અને યૌન અત્યાચારોની નિંદા નથી કરી.