અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ Spirit of Congress સહિત સાત સામે FIR

શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તેવા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ અંગેનો વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો

Ahmedabad,તા.૨૧

અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત સાત સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તેવા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ અંગેનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતને સંડોવવાનો પ્રયાસ કરતાં તેની સામે ફરિયાદ થઈ હતી જેને પગલે સાયબર પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

મળતા અહેવાલ મુજબ, સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા અમદાવાદના એક નાગરિકની ફરિયાદને આધારે સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત કુલ સાત સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ સાતેય હેન્ડલ દ્વારા તિરુપતિના પ્રસાદમાં વપરાતું ઘી ગુજરાતની અમૂલ ડેરી તરફથી મોકલવામાં આવ્યું હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી જેને પગલે એક નાગરિકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સાત ઠ આઈડી આ પ્રમાણે છેઃ સ્પિરિટ ઑફ કોંગ્રેસ, બંજારા ઓગણીસો એકાણુ, ચંદન એઆઈપીસી, સેક્યુલર બેંગાલી, રાહુલ ૧૭૦૦, પ્રોફાપીએમ તથા પદ્મજા.બીજી તરફ, અમૂલે પણ ગઈકાલે શુક્રવારે મોડી સાંજે આ અંગે કંપનીના ઠ હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. અમૂલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા તિરુપતિના પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી મોકલવામાં આવતું હોવાની વાતો સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહી છે જે સત્ય નથી. કંપનીએ કહ્યું કે, અમૂલે કદી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ને ઘી મોકલ્યું નથી.

 

Leave a Comment