‘સસ્તા અનાજની દુકાનમાં આવા ધંધા?’, અનાજ લેવા ગયેલા ખેડૂતને BJP member બનાવી દેવાયો

Junagadh,તા.27

દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ સભ્યો જોડવાના કામે લગાડવામાં આવ્યા છે. જોકે, સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ ભાજપ જબરદસ્તી કે લોકોની જાણ બહાર તેમને છેતરીને સભ્ય બનાવવાનાં આરોપોને લઈને વિવાદોમાં ઘેરાયેલું છે. ત્યારે હવે ફરીથી ભાજપનું સદસ્યતા અભિયાન સામે પ્રશ્નો ઉભો થયાં છે. આ વખતે સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા ગયેલાં ખેડૂતની જાણ બહાર તેને ભાજપનો સભ્ય બનાવી દેવાના કારણે ખેડૂતે વિરોધ નોંધાવ્યો છે.

શું છે સમગ્ર મામલો? 

જૂનાગઢ જિલ્લાના ચર ગામના જગમાલ પીઠિયા નામના ખેડૂત સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા પહોંચ્યા હતાં. જ્યાં ખેડૂતનો મોબાઈલ લઈ તેની જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દેવાયો હતો. ખેડૂતને જ્યારે મેસેજ મળ્યો ત્યારે તેને ખબર પડી કે, તે ભાજપનો સભ્ય બની ગયો છે. બાદમાં ખેડૂતે સભ્યપદ રદ્દ કરવા માટે ભાજપ કાર્યકરોને વારંવાર ફોન કર્યાં પરંતુ સભ્યપદ રદ્દ કરવામાં ન આવ્યું.

સમગ્ર મુદ્દે ભાજપના કાર્યકર્તા અને ખેડૂત વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો હતો, જેમાં ખેડૂતે કહ્યું કે, ‘તમે કાલે દુકાને આવીને મારી પાસે ફોન લીધો ત્યારે તમારે મને પૂછવું જોઈએ કે નહીં, કે મારા ફોનમાંથી ભાજપના સભ્ય પદમાં જોડી રહ્યા છો? તમને કોઈએ સસ્તા અનાજની દુકાનમાં આવો ધંધો કરવાનું કહ્યું છે?’ જોકે, વાઈરલ ઓડિયોમાં કાર્યકર દ્વારા ખેડૂતને કોઈપણ નક્કર જવાબ આપવામાં આવ્યો ન હતો.

ખેડૂતે કર્યો વિરોધ

આ વિશે ખેડૂતે જણાવ્યું કે, ‘સભ્ય બનવાનો મેસેજ આવતા મેં કાર્યકરને ત્રીસથી ચાલીસ જેટલાં ફોન કર્યાં પણ મારો એકપણ ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ બીજા દિવસે મને સામેથી ફોન કર્યો. ત્યારે મેં કહ્યું કે, ‘ભાઈ તમે દુકાનમાં આવીને મારો ફોન લઈ મને ભાજપનો સભ્ય બનાવી દીધો એ કેટલું યોગ્ય? મને તો એવું હતું કે, તમે સસ્તા અનાજની કુપન માટે કેવાયસી કરાવવા માટે ફોન લીધો હતો. તમે મને ભાજપનો સભ્ય કેમ બનાવી દીધો? હું કોંગ્રેસનો કે ભાજપનો માણસ નથી. મને કોઈ વસ્તુમાં રસ નથી. હું એક ખેડૂતનો દીકરો છું અને મને સભ્ય બનાવ્યો તેનું પણ મને દુઃખ નથી પણ મને જાણ તો કરવી જોઈએ ને, કે તમને ભાજપનો સભ્ય બનાવવા માટે ફોન લીધો છે. ખેડૂત સાથે આવું થાય તે વાજબી નથી.’

આ પહેલાં પણ બન્યો હતો આવો બનાવ

આ પહેલાં પણ આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, શાળાના બાળકો, વાલીઓ, શિક્ષકો સહિતના લોકોને કોઈને કોઈ રીતે અને તેમની જાણ બહાર ભાજપના સભ્યા બનાવાતા વિવાદ થયો હતો.

તો વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવી દેવાનો કિસ્સોએ પણ ભારે ચર્ચા જગાવી હતી. જેમાં સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે તેમનો મોબાઈલમાં આવેલો ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. દર્દીના નંબર પર ભાજપના સભ્ય બન્યાનો મેસેજ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

Leave a Comment