કોરોના મહામારી પૂરી માનવતા માટે એક ભયાનક સંકટ હતું : સરકાર હંમેશા આ લોકોના પરિવારની સાથે : આતિશી
New Delhi, તા.૨૮
દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા પાંચ લોકોના પરિજનોને ૧-૧ કરોડ આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી આતિશીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર ૯૨ લોકોના પરિવારોને ૧-૧ કરોડ રૂપિયાની સન્માન રકમ આપી ચૂકી છે.
મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે ’દિલ્હીના લોકોએ કોરોના મહામારી દરમિયાન પોતાના જીવની ચિંતા કર્યાં વિના માનવતા અને સમાજની રક્ષા કરવાનું કામ કર્યું અને પોતાના જીવનનું બલિદાન આપ્યુ. દિલ્હી સરકાર તેમના જુસ્સાને સલામ કરે છે.’
આ રકમથી દિવંગત લોકોના પરિવારની ખોટની પૂર્તિ તો કરી શકાતી નથી પરંતુ તેમના પરિવારને એક સન્માનજનક જીવન જીવવાનો દ્વાર જરૂર મળશે. કોરોના મહામારી પૂરી માનવતા માટે એક ભયાનક સંકટ હતું.
આ સંકટે તમામના મનમાં ડર પેદા કર્યો હતો પરંતુ આપણા ઘણા લોકોએ પોતાના જીવને જોખમમાં નાખતા દિલ્હીને આ સંકટથી ઉગારવાનું કામ કર્યું. આમાં ડોક્ટર, મેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, સફાઈ-કર્મચારીઓ સહિત હજારો લોકોએ દિવસ-રાત કામ કરીને આ મહામારીથી લડવાનું કામ કર્યું અને ઘણાં લોકો આની ચપેટમાં પણ આવી ગયા અને પોતાનો જીવ ગુમાવી બેઠા. સરકાર હંમેશા આ લોકોના પરિવારની સાથે ઊભી છે.