Site icon Shri Nutan Saurashtra

Bhachau એસઆરપી કંપનીમા અધિકારી-કર્મચારીઓ સાથે મંડળી કેશીયરની 96 લાખની ઉચાપત

તત્કાલીન કેશીયર અને સબ ઓડિટર સામે ફરિયાદ નોંધાઈ

Bhachau,તા.૩૦
ભચાઉમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-16 (એસ.આર.પી.)ના તત્કાલીન કેશિયર અને ઓડિટરે ગુનાહિત કાવતરું રચી રૂ. 96,43,780ની ઉચાપત કરતાં બંને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ભચાઉ ખાતે એસઆરપીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા યાસિન મહમદ ઇબ્રાહિમ સંધીએ તત્કાલીન કેશિયર એવા એ.એસ.આઇ. રાજુ બી. પવાર તથા ઓડિટર સામત એસ. ઓવારિયા વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એસ.આર.પી.ની ધી શક્તિ ધિરાણ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડમાંથી આ આરોપીઓએ નાણાંની ઉચાપત કરી હતી.
જૂથમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓના અમુક નાણાંની રસીદ આપી તે રકમ ડે-બુકમાં ચડાવાઇ નહોતી તથા મંડળીનાં ખાતાંમાં જમા કરાવાઇ નહોતી તેમજ અમુક રકમની રસીદ અથવા વાઉચરમાં છે, પરંતુ કેશબુકમાં ચડાવાઇ નહોતી તથા મંડળીના ખાતાંમાં જમા થઇ નહોતી અને મંડળીના ખાતાંમાંથી અમુક રકમનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હતું તેમજ સાત વર્ષ દરમ્યાન ઉચ્ચક લોન જમા નામનો ઉલ્લેખ નથી. જે લોન રજિસ્ટરમાં નથી લેવાઇ કે મંડળીના ખાતાંમાં જમા થયેલી નથી. તેમજ જૂથના સિવિલયન, પોલીસ કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કરી આ કર્મચારીઓની જાણ બહાર તેમના નામે લોનની રકમ મંજૂર કરી પોતાનાં ખાતાંમાં ગેરકાયદેસર રીતે નાણાં જમા કરાવાયાં હતાં. વર્ષ 2018 દરમ્યાન ઓડિટમાં આ ઉચાપત સહિતની વિસંગતતા ઓડિટરે ધ્યાને લીધી નહોતી. ઓડિટ રિપોર્ટમાં આ અંગે કોઇ વાંધો લીધો ન હતો. સહકારી મંડળીના તમામ રેકોર્ડની ચકાસણી કરાઇ નહોતી. કેશબુક, પાવતી બુકની થયેલી ચકાસણી યોગ્ય રીતે કરાઇ નથી. ઓડિટરે પણ એ.એસ.આઇ.ના આ કૃત્યને છાવરી ઉચાપતમાં સહકાર આપ્યો હતો.  વર્ષ 2022માં રાજુ પવારની બદલી કરી કેશિયર તરીકે બ્રિજરાજસિંહ ઝાલાની નિમણૂક કરાતાં તેમણે બેલેન્સ શીટની ખરાઇ કરતાં તેમાં ખૂબ જ વિસંગતતા, ગેરરીતિ થયેલ હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે ખાતાકીય તપાસ બાદ અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
Exit mobile version