મૃતદેહ પરિવારને દફનાવવાની જગ્યાએ ભીડે સળગાવી દીધો
ડોક્ટરને ઠાર મારનારા પોલીસનું ટોળાએ દોઢ કિલોમીટર ફૂલની જાજમ પાથરી સ્વાગત કર્યું : પરિવારે બચવા માટે ગુમ થવું પડયું
શાહનવાઝ કંબર નામના ડોક્ટરની ઈશનિંદાની ફેસબુક પોસ્ટ સામે કટ્ટરવાદીઓને વાંધો પડતા ધરપકડ કરી હતી
Islamabad,તા.21
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં રહેતા ડોક્ટર શાહનવાઝ કંબરની એક ફેસબુક પોસ્ટથી કટ્ટરવાદીઓને વાંધો પડયો. ટોળાએ પહેલાં તો આ ડોક્ટરની ધરપકડની માગણી સાથે ઉગ્ર દેખાવો કર્યો. પોલીસે તેની ધરપકડ કરી. ત્યારબાદ પોલીસે ડોક્ટરને ગોળી મારી દીધી. વાત આટલેથી ન અટકી. કટ્ટરવાદી, બર્બર ટોળાએ આ ડોક્ટરના મૃતદેહ સાથે પણ એવી જ બર્બરતા આચરી. જે પોલીસે ડોક્ટરની હત્યા કરી તેના સન્માનમાં ટોળાએ દોઢ કિલોમીટર સુધીની ફૂલોની જાજમ બિછાવીને તેનું સ્વાગત કર્યું.
સિંધ પ્રાંતમાં કરાચીથી લગભગ ૨૫૦ કિ.મી. ઉત્તરપૂર્વે મીરપુરખાસ નજીક ઇશનિંદાના આરોપમાં પોલીસે ડો. શાહનવાઝ કંબરને ઠાર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ડોક્ટરે શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બનાવી કાઢેલી સ્ટોરી પ્રમાણે ડોક્ટરે ભાગવાનો પ્રયાસ કર્યો એટલે તેનું એન્કાઉન્ટર કરી દેવાયું. હકીકત એ છે કે આ ડોક્ટરની પોલીસે હત્યા કરી દીધી.
એનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે તેના કુટુંબીઓને સોંપાયો હતો. તેના ત્રણ પુત્રો અને પુત્રી તથા પત્નીએ તેમના વતન જાનહેરો નજીક દફનવિધિની તૈયારી કરી હતી, પરંતુ એકત્રિત થયેલા ટોળાએ તેનો મૃતદેહ તેમને સોંપી દેવાની માંગ કરી હતી. ટોળાએ રીતસરના ડોક્ટરના કુટુંબીઓ પર હુમલો કર્યો હતો. પરિવારજનોએ ડોક્ટરનો મૃતદેહ પડતો મૂકીને ભાગી જવું પડયુ હતું. એ પછી ટોળાએ મૃતદેહને કારમાં નાખી તે કારને આગ ચાંપી દીધી હતી.જે પોલીસે ડોક્ટરની હત્યા કરી તેનું ટોળાએ સન્માન કર્યું હતું. એ પોલીસના સન્માનમાં ટોળાએ રસ્તામાં ફૂલો બિછાવ્યા હતા. પરિવારે બચાવમાં કહ્યું હતું કે ડોક્ટરને ફસાવવામાં આવ્યા હતા. એ ધાર્મિક વ્યક્તિ હતા અને ધર્મને ચુસ્ત રીતે માનતા હતા. ધર્મમાં ચાલતા પાખંડના વિરોધી હતા એટલે એમનો ઓપિનિયન ફેસબુક પર આપતા હતા.
પોલીસે અગાઉ ઉમરકોટ ટાઉનના આ ડોક્ટર પર પાકિસ્તાન દંડસંહિતાની જોગવાઈ ૨૯૫-સી હેઠળ ઇશનિંદાનો કેસ નોંધ્યો હતો. સ્થાનિક મસ્જિદના મૌલવી સબીર સોમરોએ તેની સામે ઇશનિંદાનો કેસ નોંધાવ્યો હતો. આ ડોક્ટરે ફેસબુકમાં એક પોસ્ટ લખી હતી. એની સામે મુસ્લિમ ધર્મના અપમાનનો આરોપ લાગ્યો હતો.