Site icon Shri Nutan Saurashtra

Rajkotમાં મિલ્કતના કરારપાલન અને કાયમી મનાઈ હુકમનો દાવો નામંજુર

Rajkot,તા.૮
રાજકોટમાં મંગળા રોડની કિંમતી સ્થાવર મિલ્કતના વિશિષ્ઠ કરારપાલન તથા કાયમી મનાઈ હુકમ અંગેનો દાવો અદાલતે ખર્ચ સહિત  નામંજુર કર્યો છે.
આ કેસની હકિકત મુજબ, રાજકોટ શહેરમાં મંગળા રોડ ઉપર જમીન ચો.વા.આ. ૨૯૧-૬-૦ સાથેનું જુનું મકાન કિશોરભાઈ કોરડીયાએ ખરીદ કરી તે જગ્યા ઉપર ગ્રાઉન્ડ ફલોરમાં બે દુકાનો, મેઝેનન ફલોર, ફર્સ્ટ અને સેકન્ડ ફલોર બાંધ્યા હતા. તે મિલ્કત માંહેથી મેઝેનન ફલોર આખો, ગ્રાઉન્ડ ફલોરનો હોલ તથા આગળની બે ભાડુઆત કબજાવાળી દુકાનો સહીતનું સાટાખત પરેશ ગોકળદાસ લાખાણીને કરી આપ્યું  હતું. જે તે સમયે રૂા. ૧૦ લાખ  આપેલ અને બાકીની રકમ ત્રણ વર્ષમાં ચુકવવાની હતી, પરંતુ પરેશ ગોકળદાસ લાખાણીએ આ રકમ ચુકવેલ ન હોય અને બાદમાં કોર્ટમાં કરાર પાલન કરવા અંગેનો અને મિલ્કતનો દસ્તાવેજ કરી આપવા બાબતે તેમજ મનાઈહુકમ બાબતેનો દાવો દાખલ કર્યો હતો. જેમાં જવાબ-વાંધા આપ્યા બાદ બંને પક્ષોના સરતપાસના સોગંદનામા અને જુબાની થયા બાદ બંને પક્ષોએ દલીલ કરેલ. જેમાં પ્રતિવાદી કિશોરભાઈ પરમાણંદભાઈ કોરડીયાના વકીલ કિશન બી. ગાંધી દ્વારા ધારદાર દલીલ કરી હતી કે આ કામના વાદીએ સાટાખતની મુદત બાદ હાલનો દાવો દાખલ કરેલ હોય જે દાવાને ડીલે, એકવીયન્સ તેમજ સમયમર્યાદાનો બાદ નડે છે. જેથી વાદીને કરાર પાલનની દાદો મળી શકે નહી. આ ઉપરાંત વાદીએ સ્ટેમ્પ એકટ અને રજિસ્ટ્રેશન એકટની જોગવાઈનું પાલન કરેલ ન હોય સહિતની રજુઆતો તેમજ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના જજમેન્ટસ રજુ કરેલ જે ધ્યાને લઈ કોર્ટ દ્વારા વાદીનો દાવો ખર્ચ સહીત નામંજુર કરી અને વાદીએ પ્રતિવાદીને સાટાખત મુજબની આપેલ રકમ પણ પરત મળી શકે નહી તેવો નિર્દેશ આપતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં પ્રતિવાદી વતી એડવોકેટસ બિપીનચંદ્ર બી. ગાંધી, કિશન બી. ગાંધી, જય પી. સિધ્ધપુરા રોકાયા હતા.
Exit mobile version