​​Purshottam Solanki, Dilip Sanghani ની ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટે ફગાવી

Ahmedabad,તા.૩૦

૪૦૦ કરોડના ફ્શિરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની બિનતહોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફ્ગાવી દીધી છે.

બંને ભૂતપૂર્વ મંત્રીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કથિત કરોડના મત્સ્યપાલન કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દાખલ કરેલા કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાની માગ કરી હતી. ગાંધીનગરની કોર્ટે માર્ચ ૨૦૨૧ના રોજ બિનતહોમત છોડી મૂકવાનો ઇનકાર કર્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી, ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી તથા અન્ય એક આરોપી અરૂણકુમાર સુતરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી દેતા હવે આ બંને મંત્રીઓ અને તેમના કર્મચારીઓ વિરૂદ્ધનો કેસ આગળ વધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે હાઈ કોર્ટે ચાર મહિના સુધી સ્ટે લંબાવ્યો છે. આ કેસમાં ફરિયાદીએ ગેરરીતિઓ પકડી પાડવા માટે હાઇકોર્ટની દરમિયાનગીરીની માગણી કરી હતી.

આ કેસમાં અરજદાર ઇશાક મરાડિયાએ સોલંકીના મત્સ્યપાલન મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રદ કરાયેલા ફિશિંગ કોન્ટ્રાક્ટ્‌સ અને કથિત અનિયમિતતાઓને ઉજાગર કરવા માટે હાઈકોર્ટના હસ્તક્ષેપની માગ કરી છે. મંત્રીઓ વિરૂદ્ધ કેસ ચલાવવા રાજ્યપાલની સંમતિ લેવા માટે મરાડિયાએ લાંબી કાનૂની લડત લડવી પડી હતી. અંતે સોલંકી, સંઘાણી અને અન્ય લોકો સામે રાજ્યનાં ૫૮ જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટ્‌સ કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને આપવાનો આરોપ લગાવાયો હતો. તેમની સામે પ્રીવેન્શન ઓફ્‌ કરપ્શન એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડ હેઠળ આરોપ લગાવાયા હતા. ગાંધીનગરની કોર્ટે બંનેને ડિસ્ચાર્જ કરવાનીઅરજી ફ્ગાવતી વખતે ટાંક્યું હતું કે, તપાસ રિપોર્ટને ધ્યાને લેતા કેસ બનતો હોવાનું પહેલી નજરે દેખાય છે. કોર્ટે એવું પણ નોંધ મૂકી હતી કે, બંને સામે મુકવામાં આવેલા આરોપો પાયાવિહિન નથી. બંને પૂર્વ મંત્રી ઉપરાંત અન્ય ૫ની અરજી ફ્ગાવી દેવામાં આવતી હતી.

Leave a Comment