Rajkot માં ડેન્ગ્યુની રાડ : એક સપ્તાહમાં ૨૯ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની વધી ચિંતા

RAJKOT,તા.૧૯

ચોમાસા બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે. બીજી તરફ ચાલુ સપ્તાહે ડેન્ગ્યુના વધુ ૨૯ કેસો સામે આવતા એક માસમાં કુલ ૧૦૦ જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. તો વિવિધ રોગોમાં અગાઉના સામે ચાલુ સપ્તાહે વધુ કેસ નોંધાયા છે, જેમાં શરદી-ઉધરસના સૌથી વધુ ૧,૨૩૯ દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

મળતી વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરમાં રોગચાળો વઘ્યો છે. જેથી દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે. રાજકોટ મનપાના ચોપડે વિવિધ રોગોના કેસની વાત કરીએ તો આ સપ્તાહે કુલ ૨,૩૭૬ કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસના ગત સપ્તાહના ૯૪૨ કેસ સામે આ સપ્તાહે ૧૨૩૯ કેસ, ઝાડા-ઊલટીના ૩૪૯ સામે ૩૫૯ કેસ અને સામાન્ય તાવના પણ ૬૪૫ સામે ૭૩૯ કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના ૨૯ કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ટાઈફોઇડ તાવના ૫ તેમજ મલેરિયા ૨ અને ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે. તો ટાઇફોઇડના ૫ અને કમળાના ૨ દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, હાલ વરસાદી માહોલ હોવાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. આ સાથે રોગચાળાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. ૫૬ મલેરિયા ફિલ્ડ વર્કર, ૪૧૫ અર્બન આશા અને ૧૧૫ ફમ્ડ્ઢ વોલન્ટીયર્સ દ્વારા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને ૫,૦૫૯ ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.

સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સંબંધિત બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ ૪૩૯ પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં ૩૪૫, તો કોર્મશિયલમાં કુલ ૧૦૪ આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી. સાથે જ રૂ. ૩૬,૭૦૦ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

Leave a Comment