Site icon Shri Nutan Saurashtra

માનહાનિ કેસમાં ‘Uddhav Sena’ના દિગ્ગજ નેતા સંજય રાઉત ફસાયા,15 દિવસની કેદની સજા

Mumbai,તા,26

માનહાનિ કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાઉના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવતાં 15 દિવસ કેદ અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શું હતો મામલો? 

ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમની પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટના નિર્માણ અને સારસંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

કિરીટ સોમૈયાની પત્નીને 25000 રૂ. વળતરના ચૂકવશે સંજય રાઉત 

કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાના વકીલે કહ્યું હતું કે કોર્ટે આદેશ કર્યો છે કે તેમને વળતર રૂપે સંજય રાઉત 25000 રૂપિયા ચૂકવે. ફરિયાદમાં મેધાએ સ્વીકાર્યું હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવક્તા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે 15 એપ્રિલ 2022ના રોજ તેમની વિરુદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા ફેલાવાયા હતા.

Exit mobile version