Gujaratના Dakor માં અસામાજિક તત્ત્વોનું કારસ્તાન, મંદિરમાં ઘૂસી શનિદેવની મૂર્તિ ખંડિત કરી

Kheda,તા.19

ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે, છેલ્લા ઘણા દિવસથી રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં અસામાજિક તત્ત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. આ ઉપરાંત દાનપેટીની ચોરી થઈ છે. આ મામલે મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, યાત્રાધામ ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં બુધવારે (18મી સપ્ટેમ્બર) મોડી રાત્રે ચોરી કરવા આવેલા અસામાજિક તત્ત્વો દ્વારા શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થતાં હોબાળો થયો હતો

ઉલ્લેખની છે કે, અગાઉ વડોદરાના સંવેદનશીલ એવા ભૂતડી ઝાંપાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જનની મોડી રાત્રે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતાં આ વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જેના કારણે વિસ્તારમાં અજંપાભર્યો માહોલ સર્જાયો હતો. જેથી ભાગદોડ થઈ ગઈ હતી. જો કે, પોલીસને જાણ થતાં તેઓએ ઘટના સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો.

Leave a Comment