Mumbai,તા.20
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની ભારતમાં વિદેશી નાણાં પ્રવાહ પર મોટી અસર જોવા નહીં મળે એમ દેશના આર્થિક બાબતોના સચિવ અજય શેઠે જણાવ્યું હતું.
એક તરફ વિદેશી નિષ્ણાંતો આ રેટ કટથી ઊભરતા બજારોમાં રોકાણ મોટાપાયે ઠલવાશે એવો મત વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભારતના અર્થશાસ્ભીઓ અને કેટલાક નિષ્ણાંતોનો દેશમાં વિદેશી નાણા પ્રવાહ પર ખાસ મોટી અસર નહીં જોવા મળે એવો વિરોધાભાસી મત વ્યક્ત કર્યો છે. સ્થાનિક નિષ્ણાંતો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે આ નિર્ણય પોઝિટિવ છે. ઊંચા સ્તરેથી વ્યાજ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. ઈન્ફલોસ પર આની કોઈ મોટી અસર હું જોતો નથી. અમેરિકામાં વ્યાજ દરનું સ્તર શું હતું તે આપણે જોવું રહ્યું. અન્ય અર્થતંત્રો કેવી રીતે પ્રતિસાદ આપે છે, તે જોવાનું રહેશે એમ અજય શેઠે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી તે ૪.૭૫થી ૫.૦૦ ટકાની રેન્જમાં લવાયો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારતમાં સ્થિર અસર જોવા મળશે કારણ કે વ્યાજ દરમાં વધારો આવશે તેવા સંકેતે જ બજાર પર અગાઉ અસર બતાવી દીધી હતી, એમ દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું. ડેલોઈટ ગવર્નમેન્ટ સમિટ ૨૦૨૪ને સંબોધતા નાગેશ્વરને કહ્યું હતું કે, ભારતનું શેરબજાર અગાઉથી રોકાણકારોને આકર્ષી રહ્યું છે અને વ્યાજ દરમાં કપાત ઊભરતી બજારો માટે પોઝિટિવ છે. વ્યાજ દરમાં કપાત પહેલા જ શેરબજારો વધી ચૂકયા છે. અન્ય બાબતો હજુ અનિશ્ચિત છે. માટે વૈશ્વિક અર્થતંત્રને બળ મળે છે કે કેમ તે કહેવું મુશકેલ છે એમ તેમણે મંદ વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ભૌગોલિકરાજકીય સંઘર્ષના સંદર્ભમાં જણાવ્યું હતું. અન્ય પ્રતિકૂળ બાબતો દૂર થઈ જશે તો, દરમાં કપાતની આપમેળે પોઝિટિવ અસર જોવા મળશે, કારણ કે તેનાથી ડોલરના રૂપમાં મૂડીના ખર્ચમાં ઘટાડો થશે અને વિશ્વમાં ડોલર લિક્વિડિટી વધશે.