Haryana માં કોંગ્રેસ હારી અને PM મોદીના કૂનેહ થકી ભાજપે ફટકારી હેટ્રિક!

New Delhi,તા,09

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરીથી એક્ઝીટ પોલોની પોલંપોલ ખૂલ્લી કરી છે. એક્ઝીટ પોલો જ નહીં મોટા ભાગના રાજકીય નીરિક્ષકો પણ માનતા હતા કે હરિયાણામાં કોંગ્રેસ સત્તા પર આવશે. જોકે ભાજપના સંગઠન અને નરેન્દ્ર મોદીની કુશળતાએ ભાજપને વિજય અપાવ્યો. ભાજપના આ વિજયનો ફાળો આમ આદમી પાર્ટીને પણ આપવો જોઈએ. અરવિંદ કેજરીવાલને ખબર હતી કે હરિયાણામાં તમામ બેઠકો લડવાથી પક્ષને કોઈ ફાયદો થવાનો નથી. દિલ્હીના વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી એ માટે આડકતરી રીતે ભાજપે મદદ કરી હોવાનું કહેવાય છે. ભાજપના એ ઉપકારનો બદલો વાળતા હોય એમ કેજરીવાલે હરિયાણાની દરેક બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા જેનો આડકતરો લાભ ભાજપને થયો. જોકે ભાજપની સ્ટ્રેટજી અને સંગઠનની મહેનત હરિયાણામાં કામ કરી ગઈ અને ભાજપે હારની બાજી જીતમાં ફેરવી.

મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર પ્રિયંકા વાડ્રા બગડયા

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડ્રાએ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારને સાણસામાં લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમણે લખ્યું છે કે, મહાયુતિ સરકારે વિકાસને નામે લોકોને દગો આપવાનું કામ કર્યું છે. સરકાર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે. થોડા વરસાદમાં જ રત્નાગીરી સ્ટેશનની દિવાલ તૂટી પડી છે. મુંબઈ – નાસિક રોડ પર ૫૦૦થી વધુ ખાડાઓ છે જેમને રીપેર કરવામાં આવતા નથી. આ પહેલા પણ સિંધુ દુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી ગઈ હતી. મુંબઈમાં ૧૮ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અટલ સેતુને જોડતા રસ્તા પર તડ પડી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે પ્રિયંકા વાડ્રાના આ આરોપોના કોઈ જવાબ આપ્યા નથી.

મહારાષ્ટ્ર  ચૂંટણી પહેલા ભાજપ – અજીત જૂથમાં ભંગાણ થશે

મહારાષ્ટ્રના મજબૂત નેતા હર્ષવર્ધન પાટીલ ભાજપ છોડીને શરદ પવાર સાથે એનસીપીમાં જોડાઈ ગયા છે. શરદ પવારે આપેલા એક નિવેદન પછી મહારાષ્ટ્રમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ભાજપ તેમ જ એનસીપી (અજીત પવાર)ના કેટલાક નેતાઓ પક્ષ છોડીને શરદ પવાર સાથે જોડાઈ શકે એમ છે. મહારાષ્ટ્રના ઇન્દ્રાપુર શહેરમાં એક સભાને સંબોધતા શરદ પવારે કહ્યું હતું કે, મતદારો હર્ષવર્ધન પાટીલને વિધાનસભામાં મોકલે. આનો મતલબ એમ થયો કે હર્ષવર્ધન પાટીલ ઇન્દ્રાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શરદ પવારે એવો પણ સંકેત આપ્યો છે કે, રાજ્ય વિધાન પરિષદના પૂર્વઅધ્યક્ષ રામરાજે નાઇક નિંબાલકર ૧૪ ઓક્ટોબરે એનસીપી (શરદ પવાર)માં જોડાવાના છે. મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપ અને એનસીપી (અજીત પવાર)ના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે એ જોતા મહાયુતિ માટે મહારાષ્ટ્રમાં જીત મેળવવી અઘરી છે.

કાશ્મીર ચૂંટણીમાં ડોડાથી આપની જીત : ભાજપના ગાલ પર તમાચો છે

જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ડોડા બેઠક પર ભાજપની જીત નક્કી ગણાતી હતી. ડોડા વિધાનસભા બેઠક પર હિન્દુ ડોગરા મતદારોની સંખ્યા વધુ છે. આર્ટીકલ ૩૭૦ નાબુદ થયા પછી એમ મનાતું હતું કે, ભાજપની લોકપ્રિયતા કાશ્મીરના હિન્દુ વિસ્તારોમાં વધી છે. તમામ રાજકીય સમીકરણો ભાજપની તરફેણ કરતા હોવા છતાં આમ આદમી પાર્ટીના મહેરાજ મલ્લીક આ બેઠક પરથી વિજય થયા છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મહેરાજ મલ્લીકે ૨૦૨૦માં વિજય મેળવીને આમ આદમી પાર્ટીનું ખાતુ ખોલાવ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જનાર મહેરાજ મલ્લીક આપના પહેલા ધારાસભ્ય બનશે. આ પરિણામ પછી રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરવાનો રાજકીય ફાયદો ભાજપને થયો નથી.

હરિયાણાના પરિણામ પછી કેજરીવાલનો કોંગ્રેસ પર કટાક્ષ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણામા કોંગ્રેસની હાર બાબતે કેટલાક કટાક્ષ કર્યા હતા. કેજરીવાલે પોતાના પક્ષના નેતાઓને સલાહ આપી હતી કે, જો ચૂંટણી જીતવી હોય તો અંદરોઅંદરના મતભેદો દુર કરવા પડે, નહીં તો કોંગ્રેસ જેવી હાલત થાય. લોકોની વચ્ચે જઈને કામ કરવું જરૂરી છે. વધારે પડતો આત્મવિશ્વાસ પણ નડી શકે છે. અરવિંદ કેજરીવાલ આ બધી વાતો કોંગ્રેસ સંદર્ભમાં કરી રહ્યા હતા, પરંતુ હરિયાણામાં આપનો સફાયો થઈ ગયો એ વિશે એમને ચિંતા હોય એમ લાગતું નથી. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે કેજરીવાલે પહેલા તો પોતાના પક્ષની ચિંતા કરવી જોઈએ.

હરિયાણામાં હિંસા થઈ એ વિસ્તારોની બેઠકોમાં ભાજપની હાર

હરિયાણામાં ભાજપએ જીત ભલે મેળવી હોય, પરંતુ નૂહ જિલ્લાની ત્રણે બેઠકો પર ભાજપના ઉમેદવારો હાર્યા છે. નૂહ બેઠક પર તો ભાજપના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા છે. ભાજપના નેતાઓ એવી ડંફાસ મારતા હતા કે નૂહ જિલ્લામાં તો કમળ ખીલશે, પરંતુ જિલ્લાની ત્રણે બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં નૂહ જિલ્લામાં કોમવાદી તોફાનો ફાટી નિકળ્યા હતા. આર્થિક અને સામાજિક રીતે નૂહ જિલ્લો પછાત ગણાય છે. ભૂતકાળમાં પણ ભાજપને કદી નૂહ બેઠક પર વિજય મળ્યો નથી. નૂહ હિંસાના આરોપી મામન ખાને પણ ફીરોજપુર ઝીરકા બેઠક પરથી જીત મેળવી છે.

તહેવારો શરૂ થતા શાકભાજી – ફળોના ભાવ આસમાને

દેશમાં તહેવારોની સિઝન શરૂ થતા જ શાકભાજી અને ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે. રોજબરોજ ઉપયોગમાં લેવાતા ટામેટાના ભાવ ૧ કીલોએ ૧૦૦ રૂપિયા થઈ ગયા છે. કેટલાક શહેરોમાં તો ટામેટાના ભાવ ૧ કીલોએ ૧૨૦ રૂપિયા જેટલો થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના નોઇડા, લખનૌ અને પ્રયાગરાજના બજારોમાં ટામેટા ૧૩૦ રૂપિયે કીલો વેચાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં બટાટા ૪૦ રૂપિયે કીલો અને કાંદા ૭૦ રૂપિયે કીલોના ભાવે વેચાઈ રહ્યા છે. કોથમીરનો ભાવ ૨૦૦ રૂપિયે કીલો થઈ ગયો છે. આ સિવાયના શાકભાજી પણ લગભગ બમણા ભાવે વેચાઈ રહ્યા છે. લોકો આ માટે કેન્દ્ર સરકારની નિષ્ફળ નિતીને જવાબદાર માની રહ્યા છે.

પોર્ટ બ્લેઇરના ઉપરાજ્યપાલ સામે ભાજપના જ સાંસદ મેદાને

આંદામાન અને નિકોબાર ટાપુના સાંસદ ભાજપના છે. ભાજપના સાંસદ વિષ્ણુ પદ રે ટાપુઓના ઉપરાજ્યપાલ એડમીરલ ડી. કે. જોષી સામે મેદાને પડયા છે. સાંસદની માંગણી છે કે નિષ્ક્રીય ઉપરાજ્યપાલને હટાવવામાં આવે. વિષ્ણુ પદ રેનો આરોપ છે કે, ઉપરાજ્યપાલની નિમણૂક ૨૦૧૭માં કરવામાં આવી હતી આમ છતાં એમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈ કામ કર્યું નથી. તેઓ ફક્ત સ્કુબા ડાઇવીંગ કર્યે રાખે છે અને આખો વખત ગોલ્ફ રમતા રહે છે. એમણે શિક્ષા, રક્ષા, આરોગ્ય તેમ જ પ્રવાસનને લગતી એક પણ ફાઇલ પાસ કરી નથી. હવે વિષ્ણુ પદ રેએ આંદામાન નિકોબાર ટાપુઓનું કામકાજ એક દિવસ માટે બંધ રાખીને ઉપરાજ્યપાલ વિરુદ્ધ દેખાવો કરવાનું નક્કી કર્યું છે. નવાઇની વાત એ છે કે ઉપરાજ્યપાલની નિમણૂક ભાજપની કેન્દ્ર સરકારે કરી હોવા છતાં ભાજપના જ સાંસદ એમની સામે મેદાને પડયા છે.

બિહારમાં અધિકારીઓને કૈથી લીપી શીખવા સરકારનો આદેશ

બિહારમાં જમીન સર્વેક્ષણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ એમાં એક મોટો અવરોધ ખડો થયો છે. લોકોના દસ્તાવેજો કૈથી લિપિમાં છે. આઝાદી પહેલાં બિહારમાં મોટાભાગના દસ્તાવેજો કૈથી લિપિમાં થતા હતા. એ પછી ધીમે ધીમે કૈથીનો ઉપયોગ બંધ થઈ ગયો. એના જાણકારો પણ ઘટી ગયા. આજે ઘણાં ઓછા લોકો કૈથી લિપિ ઉકેલી શકે છે અને અનુવાદ કરી શકે છે. તે કારણે લોકોને અને અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે. લોકો પોતાના કૈથી લિપિના દસ્તાવેજો લઈને અનુવાદ કરાવવા ભટકી રહ્યા છે, પરંતુ અનુવાદકો બહુ મોટી રકમ માગી રહ્યા છે. સર્વેના કામમાં લાગેલા અધિકારીઓ આ લિપિ જાણતા નથી. પરિણામે નિતિશ કુમારની સરકારે અધિકારીઓને થોડા સમયમાં આ ભાષા શીખી લેવાનો આદેશ કર્યો છે.

મહેબૂબાની દીકરી ઈલ્તિજાની મુફ્તિ પરિવારની પરંપરા બેઠક પરથી હાર

મહેબૂબા મુફ્તિની પાર્ટીનું જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં જબરું ધોવાણ થયું છે. ૧૦ વર્ષ પહેલાં મહેબૂબાની પાર્ટી તે વખતે રાજ્યમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી અને તેઓ સીએમ બન્યાં હતાં. આ વખતે પાર્ટીની એવી સ્થિતિ થઈ ગઈ કે મુફ્તિ પરિવારની પરંપરાગત બેઠક બીજબેહરાથી મહેબૂબાની દીકરી ઈલ્તિજા ચૂંટણી હારી ગઈ હતી. કલમ ૩૭૦ હટાવ્યા બાદ મહેબૂબાને નજરકેદ કરાયા ત્યારથી ઈલ્તિજા રાજકારણમાં સક્રિય થઈ હતી અને જનસંપર્ક કરતી હતી, પરંતુ એનો જનસંપર્ક મતમાં પરિવર્તિત થયો નહીં. મહેબૂબા સામે પાર્ટીને ખડી કરવાનો પડકાર સર્જાશે.

Leave a Comment