ભાયુ ભાગની વહેંચણીની જમીનના મુદ્દે કલેકટરે રેવન્યુ નોંધ રદ કરતા ખેડૂતે દાદ માંગી હતી
RAJKOT,તા.૪
ચોટીલાના પીપળીયા (ધાધલ ) ગામની વડીલોપાર્જિત ખેતીની જમીનની ભાઈઓ દ્વારા ભાગ પાડ્યાની રેવન્યુ નોંધ અંગે જિલ્લા કલેકટર અને મહેસુલ પંચના ચુકાદા સામેની રિટ પિટિશન હાઇકોર્ટે મંજૂર કરી બંને નોંધો ગેરકાયદે ઠરાવી પુનઃ ખેડૂતના નામે નોંધ દાખલ કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ચોટીલા નજીક પીપળીયા (ધાધલ) ગામના ખેડૂત ખાતેદાર લાખાભાઈ દાનાભાઈ પંચાલ દ્વારા ખેતીની જમીનની ભાઈઓ દ્વારા કુટુંબીક વહેંચણી કરેલી અને બધા ભાઈઓ પોતપોતાનો હિસ્સો આપવામાં આવેલો હતો. બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે તારીખ 26/ 7 / 2010ના રોજ તારીખ 6/ 1 /81ના રોજ થયેલ રેવન્યુ સર્વે નંબર 415ની નોંધ રદ કરી તેવું જણાવ્યું હતું કે ખેતીની જમીન ખાતે ચડાવવા અને રજિસ્ટર દસ્તાવેજ કરાવવો જોઈએ. જે હુકમથી નારાજ થઈ લાખાભાઈ દાનાભાઈ પંચાલે મહેસુલ વિભાગ અમદાવાદ ખાતે રિવિઝન અરજી દાખલ કરી હતી. મહેસુલ પંચ દ્વારા 14/ 6/ 19ના રોજ ખેડૂતની રિવિઝન રદ કરી કલેકટરના હુકમને યોગ્ય ઠરાવ્યો હતો. લાખાભાઈ પંચાલે જિલ્લા કલેકટર અને અમદાવાદ મહેસુલ પંચના બંને હુકમો રદ કરવા અંગે સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. આ રિટ અરજીની સુનાવણી વખતે અરજદારના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં કાયદાના મુદા ઉપર એવી દલીલો કરવામાં આવેલી કે,- સરકારને સમય મર્યાદાનો કાયદો લાગુ પડે છે. સરકારને કાયદાથી વિશેષ અધીકારો આપવામાં આવેલા નથી, આટલા લાંબા સમય પછી સરકારના રેવન્યુ ખાતાએ અરજદારની પ્રમાણીક નોંધ રદ કરી શકે નહીં, કાયદો બધા માટે સમાન છે. આથી લાખાભાઈ દાનાભાઈ પંચાલના નામની પ્રમાણીત નોંધ જે રદ કરવામાં આવેલી તે ગેરકાયદે ઠરાવી હાઈકોર્ટના જસ્ટીસ નીખીલ કેરિયલે યુકાદામાં જણાવેલ છે કે, કૌટુમ્બીક ખેતીની જમીનની વહેંચણીના કિસ્સામાં જે તે સમયે રજિસ્ટર દસ્તાવેજ કરવો જરુરી નથી. કલેકટર સુરેન્દ્રનગરનો હુકમ અને મહેસુલ સચીવ, અમદાવાદનો હુકમ ભુલ ભરેલા હોય આથી આ બંને હુકમો રદ કરવામાં આવ્યા છે. આ રિટ અરજીમાં અરજદાર વતી સિનિયર એડવોકેટ વજુભાઈ ડાયાભાઈ થોરીઆ રોકાયા હતા.