દુનિયામાં માત્ર Gujarat માં જોવા મળતા ઘુડખરની વસ્તી ગણતરી કરાઈ

રાજ્યમાં સૌથી વધુ ૨૭૦૫ જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા : પાંચ વર્ષમાં અંદાજિત ૨૬ ટકાનો વધારો

Gandhinagar, તા.૭

ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ દુર્લભ પ્રાણીના રક્ષણ અને સંવર્ધન માટે કચ્છના નાના રણ તથા આસપાસના પ્રદેશોમાં ઘુડખર અભયારણ્યની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે ૧૦મી વખત ઘુડખર વસ્તી ગણતરી યોજાઈ હતી. ભારતમાં એક માત્ર ગુજરાતમાં ઘુડખરની વસ્તી ૭,૬૭૨ નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ ૨૭૦૫ જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ ૩૨૩૪ ઘુડખર ધાંગધ્રામાં જોવા મળ્યા. આમ પાંચ વર્ષમાં અંદાજિત ૨૬ ટકાનો વધારો થયો છે. તો ઘુડખરની સાથોસાથ નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ અને ભારતીય શિયાળ જેવા વન્ય જીવોની ગણતરી પણ યોજાઈ. ગણતરી દરમિયાન કુલ ૧૫,૫૧૦ ચો.કિ.મી. વિસ્તાર આવરી લેવાયો છે.

વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે ૭,૬૪૨ ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. ૨ થી ૮ ઓકટોબર દરમિયાન ’વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ત્યારે, આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

મંત્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે ૭,૬૭૨ નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૬,૦૮૨ ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus heminious khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે. ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે. ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે ૨,૭૦૫ ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે ૧,૯૯૩ ઘુડખર કચ્છ જિલ્લામાં, ૧,૬૧૫ પાટણમાં, ૭૧૦ બનાસકાંઠામાં, ૬૪૨ મોરબીમાં તેમજ ૭ ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ ૩,૨૩૪ ઘુડખર ધાંગધ્રામાં, ૨,૩૨૫ રાધનપુર અને ૨,૧૧૩ ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે. આ વન અને અભયારણ્ય વિસ્તારમાં ૨,૫૬૯ માદા ઘુડખર, ૧,૧૧૪ નર ઘુડખર, ૫૮૪ બચ્ચા અને ૨,૨૦૬ વણ ઓણખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં ૫૫૮ માદા ઘુડખર, ૧૯૦ નર ઘુડખર, ૧૬૮ બચ્ચા તેમજ ૨૮૩ વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ ૭,૬૭૨ ઘુડખર નોંધાયા છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજે ઉછઁઈ- ૨૦૨૪માં લગભગ ૧૫,૫૧૦ ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ૨,૭૩૪ નીલગાય, ૯૧૫ જંગલી ભૂંડ, ૨૨૨ ભારતીય સસલું, ૨૧૪ ચિંકારા તેમજ ૧૫૩ ભારતીય શિયાળ નોંધાયા છે.

ઘુડખર સાથે સંકળાયેલ અન્ય વન્યપ્રાણીઓની વિગત : (પ્રજાતિ/સંખ્યા)

નીલગાય : ૨,૭૩૪

જંગલી ભૂંડ : ૯૧૫

ભારતીય સસલું : ૨૨૨

ચિંકારા : ૨૧૪

ભારતીય શિયાળ : ૧૫૩

રણ લોંકડી : ૭૦

ભારતીય લોંકડી : ૪૯

કાળિયાર : ૩૯

ભારતીય ઝરખ : ૧૫

રણ બિલાડી : ૧૧

જંગલી બિલાડી : ૦૪

ભારતીય વરૂ : ૦૨

મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, ઉછઁઈ- ૨૦૨૪ના આયોજનને પૂરી કરવા ગણતરીકારોને ઘુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીઓની ઓળખ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, ગણતરીકારોને પરંપરાગત પદ્ધિતિની સાથે જ, આધુનિક ટેકનોલોજી જેમ કે ડ્રોન કેમેરા, કેમેરાટ્રેપ, ઈ-ગુજ ફોરેસ્ટ મોડ્યુલ જેવા સંસાધનો પણ આપવામાં આવ્યા હતા.

ભારતીય ઘુડખરની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં ૪૫ થી ૫૦ ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં ૫૦ થી ૭૦ કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે. સામાન્ય રીતે ટોળામાં વિચારતા ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે. ગુજરાતના એવા ગૌરવ એવા આ દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી સરકારની જ નહિ સાથે-સાથે સૌ નાગરિકોની પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર- ૨૦૦૮ની રીપોર્ટ મુજબ ઘુડખર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોવાથી વન્યજીવ રક્ષણ અધિનિયમ ૧૯૭૨ના શીડ્યુલ- ૧માં તેને આરક્ષિત કરવામાં આવ્યા છે.ના થ્રેટંડ સ્પીસીસની યાદીમાં ઘુડખરને એન્ડેજર્ડ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. તેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ઘુડખરને લુપ્ત થતા બચાવવા અને તેમનું સંરક્ષણ કરવા અનેક કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે ઘુડખરની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ ૧૯૭૬માં ૭૨૦ ઘુડખર, વર્ષ ૧૯૮૩માં ૧૯૮૯, વર્ષ ૧૯૯૦માં ૨૦૭૨, વર્ષ ૧૯૯૯માં ૨૮૩૯, વર્ષ ૨૦૧૪માં ૪૪૫૧, વર્ષ ૨૦૨૦માં ૬૦૮૨ ઘુડખર નોંધાયા હતા. જે વર્ષ ૨૦૨૪માં વધીને ૭૬૭૨ જેટલા ઘુડખર નોંધાયા છે.

Leave a Comment