ભગવાનને હૈયે ઝુલાવવાનો ઉત્સવ એટલે Carousel festival

અષાઢ વદ બીજથી શ્રાવણ વદ – બીજ સુધીનો સતત એકમાસ સુધી ચાલતો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયો છે…. આ એક મહિના સુધી ભક્તો પોતાના હૈયામાં ભગવાનને ઝુલાવે છે. હિંડોળાના પર્વ દરમિયાન ભક્તોને પ્રાણપ્યારા પ્રભુની નિકટત્તમ આવવાની સુખદ તક સાંપડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને મોટાભાગના દરેક મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે.

ભાવિક ભક્તજનો મંદિરમાં અથવા પોતાના ઘરે વિવિધ રચના કરીને હિંડોળા તૈયાર કરીને ભગવાનને ઝુલાવે છે. ભગવાન માટે વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરવામાં આવતા હોય છે.

હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી મીણબત્તી, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, બોલપેન વગેરે અનેક પ્રકારે હીંડોળાને શણગાર કરવામાં આવે છે.

મંદિરોમાં સાંજે ભગવાનનાં પાસે કીર્તનો ગવાય છે, ઓચ્છવ થાય છે. ભગવાનને ઝુલાવાય છે. સુંદર ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે. આપણે પણ આવા દિવ્યભક્તિમય વાતાવરણમાં જઈએ અને ભક્તિરસમાં તરબોળ બનીએ.આપણે ઠાકોરજીને હિંડોળામાં અષાઢ કે શ્રાવણમાં ઝુલાવીને ઉત્સવ ઉજવીએ છીએ.

પરંતુ ભગવાન જ્યારે મનુષ્યરૂપે વિચરતા હોય ત્યારે ભક્તિનાં નીર તિથિની મર્યાદાને કેવી રીતે ? ભક્તો તો તિથિ નહીં પણ આંગણે આવેલાં અતિથિ ભગવાનને જોઈને ઘેલા બની જતા અને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લેતા. અને ભગવાન તે પણ સ્વીકારી લેતા.

બસ, હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો આપણે પણ હવે હિંડોળા ઉત્સવમાં દર્શન કરવા માટે જઈએ અને ભક્તિના રંગે રંગાઈએ. જો ભક્તિના રંગે રંગાઈશું, હિંડોળાના દર્શન કરીશું… તો આપણને સંસારનાં ઝોલા ખાવામાંથી આપણને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થશે.

Leave a Comment