Mumbai,તા.04
દેશમાં કાર, ટીવી, સ્માર્ટફોન્સ, ટુ વ્હીલર્સ સહિતના વિવિધ ઉત્પાદનોનો વ્યાપક માલભરાવો થતા વર્તમાન વર્ષના તહેવારો દરમિયાન આવા પ્રકારના પ્રોડકટસ પર જંગી ડિસ્કાઉન્ટ તથા પ્રોત્સાહનો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પોતાની પાસે પડેલી ઈન્વેન્ટરીને ખાલી કરવા કંપનીઓ માટે ગણપતિ, દશેરા, દિવાળી તથા ક્રિસમસ જેવા તહેવારો એક સારી તક રહે છે. લકઝરી પ્રોડકટસના કુલ વાર્ષિક વેચાણમાંથી ૨૫થી ૩૦ ટકા વેચાણ ઓમાનથી ક્રિસમસના તહેવારોમાં થતું હોવાનો અંદાજ છે.
ફુગાવા ઉપરાંત પ્રમાણમાં ઊંચા ધિરાણ દરને કારણે લકઝરી માલસામાનના વેચાણમાં મંદી જોવા મળી રહી છે, જેને પરિણામે કંપનીઓ તથા ડીલરો પાસે માલભરાવો થઈ રહ્યો છે.
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ઓગસ્ટના અંતે નહીં વેચાયેલી કારની ઈન્વેન્ટરીસનો આંક ૪.૨૦ લાખ રહ્યું હતું જે મહિનાના પ્રારંભમાં ૪.૧૦ લાખ હતો. જો કે ડીલરો આ આંક સાત લાખ હોવાનો દાવો કરી રહ્યા છે.
સ્માર્ટફોન્સની ઈન્વેન્ટરીસ પણ ઓગસ્ટના અંતે અઢી મહિના ચાલે એટલી હતી. જે સામાન્ય રીતે એકથી સવા મહિના પૂરતી હોય છે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ હકીકતને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષના તહેવારોમાં વેચાણમાં ભારે સ્પર્ધા જોવા મળવાની શકયતા નકારાતી નથી.
જમા પડેલા સ્ટોકસને ખાલી કરવા ઓફ્ફલાઈન તથા ઓનલાઈન બન્ને પ્રકારના વેચાણમાં ડિસ્કાઉન્ટ તથા પ્રોત્સાહનો જોવા મળવાની શકયતા છે.
માલભરાવાને ધ્યાનમાં રાખી ઓટો ઉત્પાદકોએ હાલમાં નવા લોન્ચિસ મોકૂફ રાખવાની ફરજ પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. માગમાં નોધપાત્ર ઘટાડાને પરિણામે ઓગસ્ટમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટી ત્રણ મહિનાની નીચી સપાટીએ જોવા મળી હતી. નબળી માગને ધ્યાનમાં રાખી ઉત્પાદકો પણ સાવચેતીનો સૂર ધરાવી રહ્યા છે.