Site icon Shri Nutan Saurashtra

Bihar માં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

Bihar,તા.23

બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં હતાં. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે.

ગત રાત્રે થઈ દુર્ઘટના

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતુ. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

દુર્ઘટનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન નિષ્ફળ

દુર્ઘટના બાદ ઘટના સ્થળે જેસીબીને બોલાવવામાં આવ્યુ. જેસીબીએ રાત્રે પુલના કાટમાળને માટીમાં દબાવી દીધુ. તંત્ર આ સમાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યુ હતુ. જોકે સ્પેન પડવાથી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.

નીતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ

બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કાર્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. 2011માં આ પુલનો પાયો નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે બનનાર આ પુલનું કાર્ય 2016માં જ પૂરુ થવાનું હતું પરંતુ 1000 કરોડથી વધુ ખર્ચ થવા છતાં પુલનું 60 ટકા કામ જ થઈ શક્યુ છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે. જોકે પુલ બન્યા પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.

Exit mobile version