Haryana,તા,09
ગઈકાલે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં બીજેપીની જીત થઈ છે. આ સાથે હવે મુખ્યમંત્રી પદ માટે પણ રેસ શરુ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહ એવો દાવો કરે છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણામાંથી બનાવવા જોઈએ. આ પહેલા પણ રાવ ઇન્દ્રજીત સિંહે ખુલ્લેઆમ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ અનિલ વિજની પણ આ પદ પર નજર છે. જો કે પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે નાયબ સિંહ સૈની ફરીથી મુખ્યમંત્રી બનશે.
ઇન્દ્રજીત સિંહે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી
મીડિયા સાથે વાતચીત દરમિયાન ગુડગાંવના સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહને પૂછવામાં આવ્યું કે તેમની વિધાનસભામાં માંગ છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, શું તેઓ ઇચ્છે છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણાના હોય? આના પર રાવે કહ્યું, ‘આ પાર્ટીનો નિર્ણય હશે. પરંતુ જે વિસ્તારે ભાજપને ત્રણ વખત સત્તામાં લાવી છે તેને મહત્ત્વ આપવું જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાવ ઇન્દ્રજીત સિંહે ખુલ્લેઆમ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
દક્ષિણ હરિયાણાને ભાજપનો ગઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
રાવ ઇન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના કદાવર નેતા છે. એક સમયે કોંગ્રેસની તાકાત કહેવાતા રાવ ઇન્દ્રજીત સિંહે દક્ષિણ હરિયાણાને ભાજપનો ગઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જો કે તેમની પુત્રી આરતી સિંહ રાવે અટેલી બેઠક પરથી ભારે મુશ્કેલીથી જીત મેળવી હતી. આરતીને બસપાના અત્તર લાલે જોરદાર ટક્કર આપી હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે જે રીતે સૈનીના નેતૃત્વમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે, તે જોઈને લાગે છે કે રાવ ઇન્દ્રજીત સિંહ કે અનિલ વિજની મુખ્યમંત્રી બનવાની ઇચ્છાઓ પર પાર્ટી ધ્યાન નહીં આપે. કેમકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી હેડક્વાર્ટરથી સૈનીની પ્રશંસા કરી હતી અને તેમને જીતનો શ્રેય આપ્યો હતો.