Punjab,તા.27
પંજાબમાં પંચાયતની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. અહીં સુનીલ જાખડે પંજાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Punjab BJP President) ના પદેથી રાજીનામું ધરી દીધું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી તેમની અને પાર્ટી વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું હતું.
પાર્ટીથી નારાજ હતા…
માહિતી અનુસાર તે પાર્ટીથી નારાજ હતા. આ જ કારણ છે કે તે ગુરુવારે પંચાયતની ચૂંટણીની તૈયારીઓને લઈને યોજાયેલી બેઠકમાં પણ જોડાયા નહોતાં. જ્યારે આ મામલે એક ભાજપ નેતાએ તેમને ફોન કર્યો તો તેમણે બેઠકમાં જોડાવા અંગે પણ ઈનકાર કરી દીધો હતો. આ સાથે તેમણે ચોખ્ખું કહી દીધું હતું કે હું ભવિષ્યમાં પણ આવી કોઈ બેઠકમાં જોડાવાનો નથી.
કેમ આપ્યું રાજીનામું?
સૂત્રોના જણાવ્યા અનુસાર રવનીત સિંહ બિટ્ટુને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવતા સુનીલ જાખડ પાર્ટીથી નારાજ હતા. તેમને લાગ્યું કે તે એકદમ સિનિયર છે, છતાં તેમની અવગણના કરી બિટ્ટુને મંત્રી બનાવવામાં આવ્યા. સુનીલ જાખડે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાજીનામું આપવાની ઓફર કરી છે.
સુનીલ જાખડે બે કારણોસર રાજીનામું આપ્યું હતું
લોકમુખે એવી ચર્ચા છે કે સુનીલ જાખડની નારાજગીના બે કારણ છે. પહેલું, પંજાબ ભાજપમાં બહારના લોકો વિરુદ્ધ પાર્ટીના જૂના સભ્યોનો મુદ્દો ચરમસીમાએ છે અને બીજું પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવા અંગે વિચાર્યું પણ નહીં. મળતી માહિતી મુજબ રાજીનામાની દરખાસ્ત કરતા પત્ર બાદ ગૃહમંત્રીએ સુનીલ જાખડને ફોન કર્યો હતો. જે બાદ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મળવા બોલાવ્યા હતા.