Site icon Shri Nutan Saurashtra

બે નિયમોમાં મોટા ફેરબદલ કરવાની તૈયારીમાં BCCI

એક ઓવરમાં બે બાઉન્સર અને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે

New Delhi, તા.૩૧

આગામી આઈપીએલ ૨૦૨૫ની સીઝનને લઈને બીસીસીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રીટેન્શન અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. હાલમાં બીસીસીઆઈ ડોમેસ્ટિક અને આઈપીએલ સીઝન માટેના બે મહત્વપૂર્ણ નિયમો પર વિચાર કરી રહ્યું છે. આઈપીએલ ૨૦૨૫ પહેલા આ વર્ષના અંતમાં મેગા ઓક્શન યોજાવાની છે. ત્યારે બીસીસીઆઈમાં બે નિયમો, એક ઓવરમાં બે બાઉન્સર અને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાલમાં બીસીસીઆઈ એ કોઈ નિર્ણય લીધો નથી. ડોમેસ્ટિક T૨૦ ક્રિકેટ અને આઈપીએલમાં બે બાઉન્સરનો નિયમ યથાવત રાખવો જોઈએ કે નહીં. આ અંગે બીસીસીઆઈ પુનર્વિચાર કરી રહ્યું છે. આ નિયમો ખાસ કરીને પુરુષોની T‌૨૦ આંતર રાજ્ય સ્પર્ધા, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અમલમાં આવી શકે છે. છેલ્લી સિઝનમાં બે બાઉન્સરનો નિયમ ડોમેસ્ટિક ક્રિકેટ અને ત્યારબાદ આઈપીએલમાં અમલમાં મુકવામાં આવ્યો હતો. જેનાથી બોલરો એક ઓવરમાં બીજા બાઉન્સરનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તેની મંજુરી આપવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર ૧ બાઉન્સરને મંજૂરી છે. એક ઓવરમાં ૨ બાઉન્સર આઈસીસીના નિયમોની વિરુદ્ધ છે. હાલમાં બીસીસીઆઈ આ નિયમની સમીક્ષા કરી રહ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના નિયમોને જાહેર કરવામાં બીસીસીઆઈનો વિલંબ એક સતત સમસ્યા બની રહી છે. જો કે બોર્ડે ખાતરી આપી હતી કે નિયમોને ટૂંક સમયમાં જાહેર કરશે પરંતુ આવું થયું ન હતું. બીસીસીઆઈએ ૫ ઓગસ્ટે રાજ્ય એકમોને મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે પુરુષોની T૨૦ મેચના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી નવેમ્બરમાં શરૂ થવાની છે.

ક્રિકેટના ચાહકો અને નિષ્ણાતોમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ એક વિવાદાસ્પદ વિષય બની રહ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાને તાજેતરમાં આ નિયમનું સમર્થન કરતા કહ્યું હતું કે, ’ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને ઘણી ચર્ચા થઈ છે. હું રેકોર્ડ પર કહું છું કે હું આ નિયમ સાથે છું. તેણે ઘણી ભારતીય પ્રતિભાઓને તક આપી છે.’

Exit mobile version