Site icon Shri Nutan Saurashtra

Atishi એ પદ સંભાળ્યું પણ ‘ CMની ખુરશી’ પર ન બેઠાં, કહ્યું – ‘હું પણ ભરતની જેમ જ

delhi,તા,23

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શનિવારે સીએમ પદના શપથ ગ્રહણ લીધા હતા. હવે આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળી લીધો છે. કમાન સંભાળતાની સાથે જ તેમણે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ભલે હું મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન છું પરંતુ સર્વોચ્ચ સ્થાન પર અરવિંદ કેજરીવાલ જ રહેશે. સોમવારે સીએમની ખુરશી સંભાળતી વખતે આતિશીએ કહ્યું કે, આજે મારા મનની એ જ વ્યથા છે જે ભરત જીની હતી. જ્યારે ભગવાન રામ 14 વર્ષ માટે અયોધ્યાથી વનવાસ ગયા હતા અને ભરતે અયોધ્યાનું શાસન સંભાળવું પડ્યું હતું. જેવી રીતે ભરતે 14 વર્ષ સુધી ભગવાન રામની ચરણપાદુકા સિંહાસન પર મૂકીને અયોધ્યાનું શાસન સંભાળ્યું હતું એવી જ રીતે આગામી 4 મહિના સુધી હું દિલ્હી સરકાર ચલાવીશ. આ દરમિયાન તેમની બાજુમાં એક ખાલી ખુરશી પણ દેખાઈ હતી. તેમણે કહ્યું કે, આ ખુરશી કેજરીવાલની વાપસી સુધી અહીં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલની રાહ જોશે.

આતિશીએ આગળ કહ્યું કે, રામે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા એક વચનને નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો હતો તેથી આપણે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. તેમનું જીવન આપણા બધા માટે મર્યાદા અને નૈતિકતાની મિશાલ છે. બિલ્કુલ એવી જ રીતે અરવિંદ કેજરીવાલે આ દેશની રાજનીતિમાં મર્યાદા અને નૈતિકાની મિશાલ કાયમ કરી છે. છેલ્લા બે વર્ષથી ભાજપે અરવિંદ કેજરીવાલ પર કીચડ ઉછાડવામાં કોઈ કસર ન છોડી.

ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે: આતિશી

આતિશીએ આગળ કહ્યું કે, કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

અરવિંદ કેજરીવાલનું રાજીનામું

તમને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના વિધાયક દળે તેમના સ્થાને આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. કેજરીવાલે પોતાનું રાજીનામું દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સોંપ્યું હતું. આ સાથે જ આતિશીએ ઉપરાજ્યપાલનેને એક પત્ર પણ સુપરત કર્યો હતો જેમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. રાજીનામું અને પત્ર ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો છે.

Exit mobile version