Site icon Shri Nutan Saurashtra

Amreli- Liliya માં તંત્રના વાંકે ફેલાશે રોગચાળો, ખાંભાનું સરકારી દવાખાનું બિમાર

Amreli,તા,13

ચોમાસા બાદ સરકાર રોગચાળો ન ફેલાય તે માટે લોકોને તકેદારી રાખવાનું કહે છે. લોકોએ શું કરવું તેની જાહેરાતો આપે છે, પરંતુ પોતે હાથ પર હાથ ધરીને બેસી રહી છે. આવી જ સ્થિતિ અમરેલીના લીલીયામાં જોવા મળી છે. જ્યાં છેલ્લાં ત્રણ મહિનાથી અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે. ગટરના પાણી રસ્તાઓ અને બજારમાં ફરી વળ્યા છે અને રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે.

બીજી બાજુ અમરેલીની ખાંભા હૉસ્પિટલમાં આ સિઝનમાં રોગચાળાથી બચવા તબીબોની સંખ્યા વધારવાને બદલે ત્રણ ડૉક્ટરની સામે માત્ર એક ડૉક્ટર ઓપીડી પર છે. એક ડૉકટર ડેપ્યુટેશનમાં અને અન્ય એક ડૉકટર ટ્રેનિંગમાં હોવાથી દર્દીઓને કોઈ સુવિધા મળતી નથી.

ડૉક્ટરો, સ્ટાફનો અભાવ, લોકોને પડે છે ધરમધક્કા

ખાંભા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માણસને જ્યાં સારવાર આપવાની હોય ત્યાં કૂતરાઓ બેઠા હોવાનું સામે આવ્યું હતું. એક બાજુ લીલીયાનું મુખ્ય બજાર અને નાવલી બજાર ગટરના પાણી અને દુર્ગંધથી ભરાઈ ગયું છે. ત્યાં બીજી બાજુ ખાંભા તાલુકાના 57 ગામ વચ્ચે એક માત્ર હૉસ્પિટલમાં એક ડૉકટર ઓપીડી પર હાજર હોય છે અને દરરોજની 200 ઓપીડી ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળે છે, પરંતુ દર્દીઓને સારવાર ન મળતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય કેન્દ્રમાં શ્વાનનું સામ્રાજ્ય

ખાંભાની સરકારી હૉસ્પિટલમાં જ્યાં દર્દીઓને સારવાર લેવાની હોય ત્યાં શ્વાને ડેરો જમાવ્યાનું સામે આવ્યું છે. આ સિવાય તબીબોની ગેરહાજરીના કારણે ખાંભા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી અને કલાકો સુધી ઊભા રહેવું પડે છે.

વારંવાર રજૂઆત, પરિણામ શૂન્ય

આ સમસ્યાને લઈને સ્થાનિક અને વેપારીઓએ સરપંચ તેમજ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લાગે છે કે પ્રશાસન અને અધિકારીઓ ભાજપના સદસ્યતા અભિયાનની કામગીરીમાં વ્યસ્ત હશે.

સમસ્યાનું મૂળ કારણ

સ્થાનિકોનું કહેવું છે કે, ગટર અને કુંડીઓની સમયાંતરે અને યોગ્ય રીતે સફાઈ નથી કરાતી જેના કારણે અવારનવાર ગટરો ઉભરાય છે. તો કેટલાકે ભૂગર્ભ ગટરની બનાવટ સામે જ સવાલ ઊભા કર્યા છે.

Exit mobile version