કેરળના કોચી બાદ હવે સુરતની તાપી નદીમાં દોડશે Water Metro

વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે

Surat,તા.૩૧

ગુજરાતમાં વોટર ટ્રાન્સપોર્ટેશન માટે અનેક સુવિધાઓ શરૂ થઈ હતી. જેમાં અમદાવાદની સાબરમતિ નદી પરથી કેવડિયા જવા માટે સી પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી. જે હાલમાં બંધ છે. તે ઉપરાંત ગોગા-દહેજ રો-રો ફેરી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જે હાલમાં ચાલી રહી છે. ત્યારે હવે સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો આ સર્વિસ શરૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરત આ સર્વિસ આપનારૂ બીજુ અને ગુજરાતમાં પ્રથમ શહેર બનશે.

સુરત શહેરમાં ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે શક્ય એટલા નવા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. સિટી અને મ્ઇ્‌જી બસની સુવિધા અને આવનાર સમયમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે. ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. કેરળના કોચીમાં દેશની એકમાત્ર વોટર મેટ્રો ચાલી રહી છે.મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, સુરત  મહાનગરપાલિકા વોટર મેટ્રો શરૂ કરવા માટે આગળ વધી રહી છે. તેના માટે જે તે સંબંધિત વિભાગ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. જેથી તાપી નદી પર વોટર મેટ્રો દોડાવવા માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ કરીશું. વોટર મેટ્રોમાં અલગ અલગ સંખ્યામાં મુસાફરો બેસી શકે તે પ્રકારની કેપેસિટીની બોટ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે આ બોટ ટ્રાન્સપરન્ટ રીતે બનાવવામાં આવતી હોય છે. જેથી વોટર મેટ્રોમાં બેસનાર વ્યક્તિ નદીનો અને શહેરનો નજારો સારી રીતે જોઈ શકે છે. ૧૦થી લઈને ૧૦૦ મુસાફરો બેસી શકે એ પ્રકારની મેટ્રો તૈયાર કરવામાં આવતી હોય છે. વોટરમેટ્રોના પણ સ્ટેશન નક્કી કરવામાં આવતા હોય છે. એક ચોક્કસ અંતર નક્કી કરીને જે રીતે તાપી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે, તેવી જ રીતે તાપી નદીના બંને છેડે વોટર મેટ્રો સ્ટેશન નક્કી કરવામાં આવશે.

કેરળના કોચી શહેરમાં દેશની સૌપ્રથમ વોટર મેટ્રો ૨૦૨૧માં શરૂ થઈ છે. કોચી શહેરની આસપાસના વિસ્તારમાં જવા માટે લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરે છે. કોચી શહેરની આસપાસના નાના-નાના આઇલેન્ડ પર જવા માટે વોટર મેટ્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વોટર મેટ્રો દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. મોટાભાગની વોટર મેટ્રો ઇલેક્ટ્રિક ઉપર ચાલી રહી છે. જેને કારણે અન્ય કોઈ પ્રદૂષણ થવાની પણ શક્યતા રહેતી નથી.વર્ષ ૨૦૩૫ સુધીમાં સંપૂર્ણપણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

 

Leave a Comment