Site icon Shri Nutan Saurashtra

Supreme Court ના એક નિર્ણયથી દેશભરના નેતાઓ દોડતા થઈ ગયા, પહોંચ્યા દિલ્હીમાં PM પાસે

New Delhi,તા.09

સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા.

આવેદનપત્ર પણ સોંપ્યો 

આ તમામ સાંસદોએ સંયુક્તરૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું અને સાથે જ માગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ. તેના પર પીએમ મોદીએ તેમને આશ્વાસન આપ્યું કે હું આ મામલે વિચારીશ.

એનડીએના સહયોગીઓએ પણ વિરોધ કર્યો 

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એનડીએના સાથી લોજપા(રામવિલાસ) નેતા ચિરાગ પાસવાન અને રામદાસ અઠાવલેએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચિરાગ પાસવાને આ મામલે કહ્યું હતું કે અમારી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) આ ચુકાદા સામે અપીલ કરશે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું? 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિઓમાં સબ કેટેગરી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી એ જાતિઓને પણ અનામત મળી શકે જે સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યોએ પછાતપણાં અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની યોગ્ય સંખ્યા અને પ્રદર્શનના યોગ્ય આંકડાના આધારે જ સબ કેટેગરી બનાવવાની રહેશે. એમાં મરજી કે રાજકીય લાભના આધારે નિર્ણય નહીં ચલાવી લેવાય.

Exit mobile version