હવે Port Blair ને Sri Vijayapuram તરીકે ઓળખવામાં આવશે

શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે : શાહ

New Delhi, તા.૧૩

કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે, પોર્ટ બ્લેરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે, અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.

આ જ પોસ્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં આ ટાપુનું આગવું સ્થાન છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે. આ પહેલા પણ દેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું હતું. આ સિવાય બીજેપી સરકારોએ મોટી હસ્તીઓ અને વારસાને પ્રતિબિંબિત કરવા માટે અન્ય ઘણી યુનિવર્સિટીઓ અને રસ્તાઓના નામ પણ બદલ્યા છે. આમાં પહેલાનું અલ્હાબાદ હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે. અન્ય શહેરો જોઈએ તો, ફૈઝાબાદને હવે અયોધ્યા, ગુડગાંવને ગુરુગ્રામ, મુગલસરાય જંકશનને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન નામાભિધાન કરવામાં આવ્યું છે.

Leave a Comment