177 દિવસ બાદ જેલની બહાર આવશે Kejriwal: સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

New Delhi,તા,13

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ, ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.

156 દિવસ જેલમાં રહ્યા કેજરીવાલ

ઇડીએ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. 190 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ 21 દિવસ માટે ચૂંટણીના પ્રચાર માટે છોડવામાં આવ્યા હતા. આ મુક્તિ 51 દિવસ જેલમાં રહ્યા બાદ મળી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની એક   જૂન સુધી છોડવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ 2 જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું. આજે 13 સપ્ટેમ્બરે કેજરીવાલને મુક્તિ મળી છે, એટલે અરવિંદ કેજરીવાલે કુલ 177 દિવસ જેલમાં વિતાવ્યા છે, જો 21 દિવસની મુક્તિને બાદ કરીએ તો કેજરીવાલે કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે.

થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યા સિસોદિયા 

નોંધનીય છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને નવમી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. 17 મહિના બાદ સિસોદિયા જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ટ્રાયલ શરૂ થવામાં વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.

કેજરીવાલની જામીન પર હરિયાણા એંગલ

દિલ્હીની બાજુના રાજ્ય હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ સીટ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ સાથે તેનું ગઠબંધન થઈ શક્યું નથી. જો કેજરીવાલને જામીન મળતા હવે તે હરિયાણા ચૂંટણી પ્રચારમાં ઉતરશે. જેનાથી આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. રાજકારણના જાણકાર અનુસાર, કેજરીવાલની જામીનથી ભાજપને નુકસાન ઓછું અને ફાયદો વધારે થશે. અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને નુકસાન થઈ શકે છે, કારણકે ભાજપની વિરૂદ્ધ વોટર્સ કોંગ્રેસ અને આપમાં વહેંચાઈ જશે. એવામાં કેજરીવાલની જામીનનો પ્રભાવ હરિયાણામાં જોવા મળી શકે છે.

કેજરીવાલના વકીલે શું દલીલ કરી?

સુનાવણી દરમિયાન સિંધવીએ કહ્યું હતું કે, ‘સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની એફઆઈઆર નોંધાયા બાદ બે વર્ષ સુધી ધરપકડ ન કરી, પરંતુ મની લોન્ડ્રિંગના મામલે તેમની મુક્તિને રોકવા માટે ઉતાવળમાં ‘ઇન્સ્યોરન્સ અરેસ્ટ’ કરવામાં આવી. સીબીઆઈએ કેજરીવાલને અસહયોગ અને ટાલમટોલ જવાબ માટે ધરપકડ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટના ઘણાં ચુકાદા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસમાં સહયોગ કરવાનો અર્થ એવો નથી કે, આરોપી પોતાની દોષી સાબિત કરે અને કથિત ગુનાઓની કબૂલાત કરે. મુખ્યમંત્રીના પદ પર બેઠેલા બંધારણીય પદાધિકારી કેજરીવાલને જામીન આપવા માટે ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ કરવામાંઆવી છે. તેમના ભાગવાનું જોખમ નથી, તે તપાસ એજન્સીઓના સવાલનો જવાબ આપવા આવશે અને બે વર્ષ બાદ લાખો પન્નાના દસ્તાવેજ અને ડિજીટલ પુરાવા સાથે છેડછાડ નથી કરી શકતાં.’

CBI એ જામીનની વિરોધના શું કારણ આપ્યાં?

સીબીઆઈને આશંકા છે કે, કેજરીવાલ જામીન મળ્યા બાદ ઘણાં સાક્ષી પોતાના નિવેદનથી પલટી જશે, તેથી સુપ્રીમ કોર્ટને જામીન ન આપવા માટે આગ્રહ કરાયો. એએસજી રાજુએ કહ્યું હતું કે, ‘ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તરફથી મેદાને ઉતરનાર ઘણાં ઉમેદવાર કેજરીવાલની ધરપકડ બાદ જ કેન્દ્રીય એજન્સી સમક્ષ પોતાનું નિવેદન આપવા આગળ આવ્યા. જો તમે કેજરીવાલને જામીન પર મુક્ત કરશો તો, તે સાક્ષી પોતાના નિવેદનથી પલટી જશે. કેજરીવાલની જામીન અરજીને ટ્રાયલ કોર્ટમાં પરત મોકલવી જોઈએ અને તેમને પહેલીવારમાં જ દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ ન કરવી જોઈએ. ધરપકડ તપાસનો એક ભાગ છે અને સામાન્ય રીતે કોઈપણ તપાસ અધિકારીને ધરપકડ માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી હોતી, પરંતુ વર્તમાન મામલે કોર્ટે ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે કોર્ટના આદેશ અનુસાર ધરપકડ કરવલામાં આવે છે, તો આરોપી મૌલિક અધિકારોના ઉલ્લંઘનની દલિલ નથી કરી શકતો.

Leave a Comment