Pakistan,
ગરીબીમાં જીવતું પાકિસ્તાન પોતાની આદત છોડી શકતું નથી. કાશ્મીર બાદ હવે ફરી પાકિસ્તાને જૂનાગઢને લઈને ઝેર ઓક્યું છે. પાકિસ્તાને ભારત પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, ‘જૂનાગઢ પર ભારત દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.’
ભારતે UNSCના ઠરાવનું ઉલ્લંઘન કર્યું: પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતના જૂનાગઢને 1948માં ભારતે કબજે કર્યું હતું. આ રજવાડા પર ભારતનો ગેરકાયદે કબજો છે અને આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું. દેશ આ મામલાને ઐતિહાસિક અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને તેના પર ભારતે ગેરકાયદે કબજો કરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે.’
જમ્મુ અને કાશ્મીર પર પણ ભારતનો ગેરકાયદે કબજો
જમ્મુ અને કાશ્મીરને લઈને મુમતાઝ ઝહરા બલુચે કહ્યું કે, પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે. પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને પણ ભારતના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (IIOJK) જેવા અપૂર્ણ એજન્ડા તરીકે માને છે. પાકિસ્તાન અહીં જ અટક્યું નથી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવ દ્વારા કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનું કહ્યું. જમ્મુ-કાશ્મીરના લોકો સાથે એકતા પણ વ્યક્ત કરી.’
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છા અનુસાર નક્કી કરવામાં આવશે. 2019માં ભારતે લીધેલા પગલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું ઉલ્લંઘન છે. ભારતે પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયને રદ કરવો જોઈએ.’
આગાઉ પાકિસ્તાને જૂનાગઢને પણ પોતાના નકશામાં દર્શાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલા પણ જૂનાગઢને લઈને ખોટા દાવાઓ કરી ચૂક્યું છે. વર્ષ 2020માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને નવો પોલિટિકલ મેપ જાહેર કર્યો હતો જે બાદ ભારતે તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. પાકિસ્તાને જ્યાં જમ્મુ કાશ્મીર અને લદાખને પોતાના ગણાવ્યા હતા તો જૂનાગઢને પણ સામેલ કર્યું હતું.