નુકશાનીના સર્વે કામગીરી તાત્કાલીક પૂર્ણ કરી સરકારને કરાશે રીપોર્ટ : કલેકટર
RAJKOT,તા.૫
રાજકોટ શહેર જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદ સર્જેલી તબાહીમાં માગોનું પણ મોટાપાયે ધોવાણ થવા પામેલ છે. જેના રીપેરીંગ કામ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા તાકિદના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર પાસે રૂા.૧૨ કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે. તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે જિલ્લામાં અસરગ્રસ્તોને કેશડોલ્સની સહાયની ચુકવણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદ હવે નુકશાનીના સર્વે કામગીરી આગામી બે-ત્રણ દિવસમાં જ પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ સબમીટ કરી દેવામાં આવશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના પગલે કુલ ૩૫ જેટલા માર્ગોનું ધોવાણ થતા આ તમામ માર્ગો અવદશામાં મુકાઈ જવા પામેલ છે. જેમાં માર્ગ-મકાન વિભાગ, સ્ટેટ વિભાગ હસ્તકના ૧૧ માર્ગો પર પાણી ફરી વળતા તેમજ ઓવરટેપીંગના કારણે નુકશાન પામેલ હતા. જેના પરિણામે આ માર્ગો પર વાહન-વ્યવહાર પણ ખોરવાય જવા પામેલ હતો. આ માર્ગોમાં ઉપલેટા તાલુકા ૫, જેતપુર તાલુકાના ૩, પડધરી તાલુકાના ૧ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ ૧૧ માગોનું રીપેરીંગ કામ થતા તેના પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ જવા પામેલ છે.
બાકીના માર્ગોની રીપેરીંગ કામગીરી હજુ ચાલી રહી છે. આ માર્ગોના રીપેરીંગ કામના ખર્ચ પેટે રૂા.૧૨ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવવા માટે માર્ગ-મકાન અને વહીવટી તંત્ર દ્વારા રૂા.૧૨ કરોડની ગ્રાંટ ફાળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. જ્યારે ખેતીની જમીન ખેતી પાકનો પણ ભારે વરસાદમાં સોથ વળી ગયો હોય.
આ સહિતની નુકશાનીના આંકલન માટે ટીમો દ્વારા ઝડપભેર સર્વે કામગીરી ચાલી રહી છે. જે આખરી તબક્કામાં પહોંચી ગયેલ હોય આગામી બે-ત્રણ દિવસમાં જ હવે આ સર્વે કામગીરી પૂર્ણ કરી જરાય સરકારમાં રીપોર્ટ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કમ્મર કસી દેવામાં આવી છે.