13 ઈંચ વરસાદથી Gujaratનું આ ગામડું 7 દિવસથી પાણીમાં ગરકાવ,તંત્રના અધિકારીઓ ફરક્યાં જ નહીં

Nadiad,તા.04

માતર તાલુકાના દેથલી ગામમાં છેલ્લા સાત દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કાંસ બ્લોક થઈ જતાં પાણીનો નિકાલ થઈ શકતો નથી. ઉપરાંત ગામમાં કાચા-પાકા મકાનો ધરાશાયી થયા છે. વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં મારવાની સ્થિતિ ઉભી થઈ છે. એક સપ્તાહથી શાળા પણ બંધ છે. તેમ છતાં સાત દિવસથી જિલ્લા પ્રશાસનમાંથી કોઈ પણ ગામમાં ન ફરકતા ગ્રામજનો રોષે ભરાયા હતા. તેવામાં આઠમાં દિવસે પદાધિકારી ગામમાં આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જન્માષ્ટમીના પર્વ દરમિયાન માતર તાલુકામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તાલુકાના અનેક ગામો જળમગ્ન બન્યા હતા. જેમાં દેથલી ગામમાં પણ પાણી ભરાયા હતા. ગામમાંથી પાણીનો નિકાલ જે કાંસ મારફતે થાય છે તે કાંસ આગળથી બ્લોક થઈ જતાં છેલ્લા સાત દિવસથી ગામમાં પાણી ઓસર્યા નથી. ભારે વરસાદના કારણે ગામમાં કેટલાક કાચા-પાકા મકાનો ધરાશાયી થયા હતા. ગામમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા એક સપ્તાહ સુધી શાળા બંધ રાખવામાં આવી છે. તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુક્સાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ રસ્તાઓ બિસ્માર બન્યા છે.

ત્યારે 9 હજારની વસ્તી ધરાવતા ગામમાં પાણી ભરાયાના સાત દિવસ બાદ પણ જિલ્લા પ્રશાસન ગામમાં ન પહોંચતા જિલ્લા પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા ગામની ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. ત્યારે સાત દિવસ બાદ આખરે પદાધિકારીઓએ ગામની મુલાકાત લઈ ટ્રેક્ટરમાં સવાર થઈ ગામની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

5 દિવસ વીજ પુરવઠો ખોરવાઈ જતાં પીવાના પાણીની મુશ્કેલી  

આ અંગે દેથલીના તલાટી અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગામમાં હાલ બે-ત્રણ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. ઢોર-ઢાંખરને નુક્સાન થયું નથી પરંતુ કેટલાક કાચા મકાનો પડી ગયા છે. તેમજ ડાંગરના પાકને ભારે નુક્સાન પહોંચ્યું છે. ભારે વરસાદ વરસતા પાંચ દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી બોર ચાલુ ન થઈ શકતા ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. હાલમાં વીજ પુરવઠો મોટો પ્રશ્ન છે.

Leave a Comment