Maharashtra,તા,03
4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે 26 ઓગસ્ટે ભારે પવન ફૂંકતા તૂટી પડતાં વિવાદ થયો છે અને સરકારે તાત્કાલિક પગલાં લીધાં અને આ ઘટના માટે માફી પણ માંગી છે.
MVAએ ચલાવ્યું જૂતા મારો આંદોલન
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડતા રવિવારે મહા વિકાસ આઘાડીના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહાયુતિ સરકાર સામે જૂતા મારો આંદોલન કર્યું હતું. હવે, આ આંદોલન પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિપક્ષે શિવાજી મહારાજની પ્રતિમા પર રાજનીતિ ન કરવી જોઈએ.
આ બાબતે અજીત પવારે એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, ‘કેટલાક લોકોએ અમારી વિરુદ્ધ જૂતા મારો આંદોલન કર્યું છે. તેઓએ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને મારા ફોટાને ચપ્પલ વડે માર્યા હતા. આ રીતે જૂતા મારવાનો શું અર્થ? હિંમત હોય તો સામે આવો, પછી બતાવું. આવી ચીટીંગ શું કરો છો!’
અજિત પવાર બારામતીમાં જન સન્માન યાત્રા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન ડેપ્યુટી સીએમએ પૂછવામાં આવ્યું હતું કે, ‘શું કોઈ સરકાર ઈચ્છશે કે આવી ઘટના બને?’ જેનો અજિત પવારે જવાબ આપ્યો હતો કે, ‘છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ ઈચ્છશે નહિ કે કોઈ મહાપુરુષની પ્રતિમા પડી જાય. છત્રપતિ શિવાજી મહારાજ બધાના ભગવાન છે. અમે રાજ્યની જનતાની માફી પણ માંગી છે. આ ઘટના પર રાજકારણ કરવાની જરૂર નથી. આ મામલે કોણે ભૂલ કરી છે તે શોધી કાઢવામાં આવશે.’