Talaja માં અડધા કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ,રસ્તા પર પાણી ફરી વળ્યાં,

Talaja,તા.20

ગોહિલવાડ પંથકમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે ગોરભાંયેલાં વાદળો વરસ્યા ન હતા. જો કે, તળાજા પંથક સહિત સમગ્ર તાલુકામાં બપોરે માત્ર અડધા કલાકમાં જ ધોધમાર એક ઈંચ વરસાદ વરસાવી મેઘરાજાએ પંથકમાં પર્વનું મહાત્મ્ય જાળવી રાખ્યું હતું. બીજી તરફ, રક્ષાબંધન પર્વે ધોધમાર વરસાદના પગલે તળાજાવાસીઓને ગરમી અને બફારમાંથી રાહત મળી હતી. જો કે, તળાજાને બાદ કરતાં આજે  જિલ્લાના અન્ય તાલુકામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાંની ઋતુમાં મઘા નક્ષત્ર બેસી ગયાના ચારે દિવસ બાદ પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડતો નથી તેથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે, કેટલાક તાલુકામાં છુટો છવાયો વરસાદ પડતાં સ્થાનિક  ખેડૂતોમા ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ (શ્રાવણી પૂનમ) અને શ્રાવણી બળેવ એમ ત્રિવિધ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. જો કે, આજના પાવન પર્વે સવારથી શહેર અને જિલ્લામાં વાદળો ગોરભાંયેલા હતા. તે જોતાં આજે પર્વને અનુરૂપ મેઘરાજા મન મુકીને વરસશે તેવી આશ બંધાઈ હતી. પરંતુ, સવારથી લઈ બપોર સુધી ભાવનગર શહેરમાં ધૂપ-છાંવ વચ્ચે બપોરના સમયે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા શ્રાવણી સરવડાં વરસ્યા હતા.

જ્યારે, શ્રાવણી પૂનમે સવારના સમયે ગરમી અને બફારાના અનુભવ વચ્ચે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં બપોરે માત્ર અર્ધા કલાકમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે તળાજાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો, તળાજા શહેર ઉપરાંત, તળાજાથી ધારડી સુધીના માર્ગ પર ધોધમાર વરસાદ પડયો હતો, જયારે પીથલપુર, બોરડા, દેવળીયા, અલંગ સહિતના કેટલાક ગામોમાં વરસાદ પડયો ન હોવાનુ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું.ભાવનગર ડિઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બપોરે 2 થી 4 દરમિયાન તળાજા તાલુકામાં 26 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જો કે, તળાજાને બાદ કરતાં જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ન હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હાલ ખેતીના પાક માટે વરસાદની જરૂર છે ત્યારે જ તળાજા પંથકમાં એક ઇંચ વરસાદ પડતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. વરસાદ પડતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.બીજી તરફ,જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ 66 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઈ હતી. ગત રવિવારે મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ 63 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઈ હતી.

છેલ્લા ર૪ કલાકમાં મહત્તમ તાપમાન અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાયો છે. ગત તા. 12 ઓગષ્ટે મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયુ હતું. તે પણ અત્રે ઉલ્લેખનીય છે. છેલ્લા આઠ દિવસમાં મહત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીનો વધારો થયો છે. હાલ મહત્તમ તાપમાન અને ભેજનુ પ્રમાણ વધતા લોકોને ગરમી તેમજ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ખેડૂત સહિતના લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ સારો વરસાદ નહીં પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Comment