New Allergenic ઉપદ્રવ ‘એર-ફ્રેશનર’

ઓરડાની બંધિયાર ગંધ દૂર કરવા જતાં થાય છે શરદી-શ્વસનને લગતી વ્યાધિનો હુમલો

Mumbai,તા.14

જો તમને સામાન્ય રીતે થતી હોય તેના કરતાં વધારે શરદી થતી જણાય, તમે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવો, તો શક્ય છે કે તમે જેટલી વખત તમારા ઘરની બાલ્કનીમાં જાઓ છો, એટલી વાર તમે હવામાં રહેલા પરાગકણની એલર્જીનો ભોગ બનો છો.

તમારું ઘર આખો દિવસ બંધ પડયું હોય તો સાંજે ઘરે પાછા ફર્યા પછી બંધિયાર રૂમની વાસ દૂર કરવા તમે એર-ફ્રેશનર છાંટવાની ટેવ ધરાવતા હો તો હવેથી બે વખત વિચાર કરીને તેનો વપરાશ કરજો. એર-ફ્રેશનરની એલર્જીથી તમને શરદી થઈ શકે છે.

નિમિષા કુલકર્ણી કહે છે કે છેલ્લા થોડાં મહિનાથી મારા પતિ નિખિલ વારંવાર શિરોવેદનાની ફરિયાદ કરતાં હતાં. તેમની માઈગ્રેનની સમસ્યા પણ વકરી હતી. તબીબો પાસે સંખ્યાબંધ ચક્કર ખાધા પછી પણ તેમની સમસ્યા દૂર થવાનું નામ નહોતી લેતી.

નિખિલ કુલકર્ણી કહે છે કે આ સમય દરમિયાન મેં એક સામયિકમાં એર-ફ્રેશનરથી થતી એલર્જી વિશે વાંચ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે અમે જ્યારથી પોમેરિયન પાળ્યું ત્યારથી એર-ફ્રેશનરનો વપરાશ શરૂ કર્યો હતો. અને તે સમયથી જ મને માથાન દુખાવા અને માઇગ્રેનની તકલીફ વધી ગઈ હતી.

તાજેતરમાં થયેલા સંશોધનમાં જણાઈ આવ્યું હતું કે એર-ફ્રેશનરથી એલર્જીની સમસ્યા સર્જાય છે. મોટા ભાગના એર-ફ્રેશનરમાંથી નીકળતા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (વીઓસી), એટલે કે હવામાં ભળી જાય એવા રાસાયણિક ઘટકોને લીધે અસ્થમા, શ્વસનને લગતી સમસ્યાઓ અને એલર્જી થાય છે. જ્યારથી બજારમાં એર-ફ્રેશનર મળવા લાગ્યાં છે ત્યારથી લોકોમાં એલર્જીનું પ્રમાણ વધતું ચાલ્યું છે. કરિશ્મા દાતે કહે છે કે જ્યારે જ્યારે હું રૂમમાં એર-ફ્રેશનર છાંટુ છું ત્યારે ત્યારે મને શરદી થઈ જાય છે અને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે. અમારા ફેમિલી ફિઝિશિયને અમને એર-ફ્રેશનર વાપરવાની ચોખ્ખી ના પાડી છે.

કરિશ્મા દાતેની જેમ જ બબિતા કહે છે કે એર-ફ્રેશનરથી મારાં અસ્થમાની તકલીફથી પીડાતા વૃધ્ધ સાસુને તરત જ અસ્થમાનો એટેક આવે છે. આ સિવાય પણ એર-ફ્રેશનરથી થતી હાનિની સંખ્યા ઓછી નથી.

ભાવિની મલ્હોત્રા કહે છે કે થોડાં દિવસ પહેલા મારા પુત્રની ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવી. જોતજોતામાં તેનું આખું શરીર પાણી ભરેલા ગુંમડાથી ભરાઈ ગયું. પછીથી અમને ખ્યાલ આવ્યો કે અમે જ્યારથી નવું લાવેલું એર-ફ્રેશનર વાપરવાનું શરૂ કર્યું ત્યારથી આ સમસ્યા સર્જાઈ છે. પણ આ અનુભવ પછી હું ઘરમાં વપરાતા કોઈપણ રસાયણયુક્ત ઉત્પાદન પ્રત્યે એકદમ સાવધ થઈ ગઈ છું.

નિષ્ણાતો કહે છે કે જેમના ઘરમાં પાળતૂ પ્રાણી હોય તેણે પણ એર-ફ્રેશનરના વપરાશથી દૂર રહેવંુ જોઈએ. તેનાથી પાળતૂ પ્રાણીને પણ હાનિ પહોંચે છે. કુમાર મહેતાએ આ ઉત્પાદનનો વપરાશ શરૂ કર્યો પછી તેમના પાળતૂ સ્પાર્કલને સુધ્ધાં નાકમાંથી પાણી વહેવા લાગ્યું હતું.

વિડંબણા એ છે કે આપણા ઘરને જંતુરહિત રાખવા માટે આપણે જે ઉત્પાદનો વાપરીએ છીએ તે વાસ્તવમાં આપણને માંદા પાડે છે. તેમાંય એર- ફ્રેશનર તો આપણી અવદશા કરી નાખે છે. આમ છતાં બંધિયાર હવાની વાસ દૂર કરવા એર-ફ્રેશનર વાપરવું જ હોય તો રસાયણયુક્ત ઉત્પાદનને બદલે ફૂલોથી બનેલાં એર-ફ્રેશનર વાપરવા સલાહભર્યાં છે.

Leave a Comment