શિક્ષકો પર નજર રાખવા માટેની Real online monitoring system પાણીમાં, ગુલ્લીબાજોને જલસા

Gandhinagar,તા.13

ગાંધીનગરમાં લાખો કરોડોના ખર્ચે નિર્માણ થયેલાં વર્લ્ડકલાસ વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં 50 તાલિમબધ્ધ શિક્ષકો રિયલ ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમના માધ્યમથી 2.4 લાખ શિક્ષકો શાળાએ આવે છે કે નહીં તે અંગે નજર રાખી રહ્યા છે. આમ છતાંય શિક્ષણ વિભાગમાં એટલી હદે લાલિયાવાડી ચાલી રહી છે કે, ચાલુ પગારે વિદેશ પહોંચેલાં ગુલ્લીબાજ શિક્ષકો ધ્યાને આવ્યા જ નહીં. હવે જયારે એક પછી એક ગેરહાજર શિક્ષકો વિશે જાણ થઈ રહી છે ત્યારે શિક્ષણ તંત્રે તપાસનું ડિંડક શરૂ કર્યું છે.

રિયલ ટાઇમ ઓનલાઈન ડેટા મેળવવામાં આવી રહ્યાં છે

ગાંધીનગરમાં વિધા સમીક્ષા કેન્દ્રમાં બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી તાલીમબલ શિક્ષકો ઓનલાઈન મોનીટરીંગ કરી શાળામાં શિક્ષકો આવે છે કે કેમ? વિદ્યાર્થીઓની શાળામાં કેટલી હાજરી છે? આ બધીય વિગતોનો લાઈવ ડેટા શેરિંગ કરવામાં આવે છે. વર્ષ 2019માં રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે ગાંધીનગર સ્થિત વિદ્યાસમીક્ષા કેન્દ્રને દેશનું પ્રથમ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું હતું. યાદ રહે કે, છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટીથી માંડીને વાર્ષિક પરીક્ષા, શિક્ષકોની રિયલ ટાઇમ ઓનલાઈન હાજરી સહિત અન્ય ડેટા મેળવવામાં આવી રહ્યાં છે તેવો સરકારે જ દાવો કર્યો છે.

ઓનલાઇન સિસ્ટમ છતાં ઓફલાઇન તપાસ-રિપોર્ટનું ડિંડક

સવાલ એ છે કે, શિક્ષકો માટે રિયલ ટાઈમ ઓનલાઇન એટેન્ડેન્સની સિસ્ટમ હોવા છતાંય ગુલ્લીબાજ શિક્ષકો પ્રત્યે શિક્ષણ વિભાગે કેમ અજાણ રહ્યું? કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના તાલીમબધ્ધ શિક્ષકોએ શું ધ્યાન રાખ્યુ? એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે જ શિક્ષકોને ચાલુ પગારે વિદેશ જવાનો ચસ્કો લાગ્યો હતો.

ચાલુ પગારે શિક્ષકોના વિદેશ વસવાટ

એટલું જ નહિ, એક વર્ષથી વધુ સમય ગેરહાજર રહે તો શિક્ષકને સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. આમાં છતાં શિક્ષણ વિભાગે કોઈ નક્કર કાર્યવાહી જ કરી નહિ. શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકોને માત્ર નોટીસ આપીને સંતોષ માણ્યો છે. હકીકતમાં ટર્મિનેટ કરતા શિક્ષણ વિભાગને કોણ રોકે છે તે સમજાતું નથી. એવી માંગ ઉઠે છે કે કોની મદદથી ચાલુ પગારે શિક્ષકો લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ.

શિક્ષણ તપાસનો ડ્રામા શરુ

અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકો સતત ગેરહાજર રહે છે ત્યારે વિદ્યાર્થીઓ કેવો અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી. આમ, શિક્ષકો પર નજર રાખતી રિયલ ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમ પાણીમાં ગઈ છે. હવે શિક્ષણ તપાસનો ડ્રામા શરુ કર્યો છે.

CM ડેશબોર્ડે પર ડેટા ઉપલબ્ધ છતાં ધ્યાન અપાયુ નહીં

ચાલુ પગારે વિદેશ ગયેલાં શિક્ષકોના મુદ્દે સરકાર બરોબરની ભરાઈ પડી છે. આ કારણોસર સરકાર-શિક્ષણ વિભાગે કાર્યવાહીનો દેખાડો કરવો પડયો છે. કડવી હકીકત તો એ છે કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડેન્સ સહિતની વિગતો મુખ્યમંત્રી ડેશબોર્ડને પણ મોકલવામાં આવે છે. કંઈ શાળામાં કેટલા શિક્ષકોની ગેરહાજરી છે તે ગાંધીનગર બેઠા બેઠા જોઇ શકાય છે.

શિક્ષકોની ગેરહાજરીને જોતાં મોનીટરીંગ રૂમમાંથી જ શિક્ષણ વિભાગ-ડીઇઓને જાણ કરીને અન્ય વ્યવસ્થા કરી શકાય છે. પણ આટલી આધુનિક વ્યવસ્થા હોવા છતાંય ખુદ મુખ્યમંત્રી કક્ષાએ ઝિણવટભર્યું ધ્યાન રખાયુ નથી. ચોંકાવનારી વાત એ છે કે, શાળાઓમાં શિક્ષકોની હાજરી-ગેરહાજરી સહિતની માહિતી ઉપલબ્ધ હોવા છતાંય મુખ્યમંત્રી ડેશબોર્ડ પણ બેદરકારી દાખવી છે. આ જ લાપરવાહીને કારણે ગુલ્લીબાજ શિક્ષકોને મોકળુ મેદાન મળ્યુ હતું. શિક્ષણવિદોનું માનવું છેકે, હવે શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યુ છે.

Leave a Comment