એક બાજુ World Adivasi Day ની ઉજવણી, બીજી બાજુ કફોડી દશા, 361 શાળામાં માત્ર 1 જ શિક્ષક

Gujarat,તા.09

એક બાજુ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ, અનેક વિકાસલક્ષી યોજના અમલમાં હોવા છતાય આદિવાસીઓ અનેક સમસ્યાઓથી પિડીત છે. સરકાર ભલે વિકાસના દાવાઓ કરે પણ કડવી હકીકત એ છે કે, આદિવાસી વિસ્તારોમાં પરિસ્થિતી ઠેરની ઠેર રહી છે. શિક્ષણ, આરોગ્યની સુવિધા હોય કે પછી નોકરી-રોજગારીની વાત હોય, આદિવાસીઓ હજુય લાભથી દૂર રહ્યાં હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.

આદિવાસી પ્રભુત્વ ધરાવતાં વિસ્તારમાં વર્ગખંડોની ઘટ

આદિવાસી સમાજના વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવકિત ચિત્ર કઇંક ઉલટુ છે. કડવી હકીકત એ છે કે, આદિવાસી પ્રભુત્વ ધરાવતાં 13 જીલ્લાઓમાં 9518 વર્ગખંડોની ઘટ છે. ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારના માત્ર 169 ઓરડાઓ બની શક્યાં છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, આદિવાસી વિસ્તારોમાં કેટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે.

361 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષક

નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં તો વર્ગખંડની ઘટ છે છતાંય એકેય વર્ગ બનાવાયો નથી. આદિવાસી વિસ્તારમાં 361 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. આ સ્થિતીમાં હજારો આદિવાસી બાળકો કેવું શિક્ષણ મેળવતાં હશે તે કલ્પના કરવી રહી.

આદિવાસી વિસ્તારમાં આંગણવાડીની હાલત પણ કફોડી

આદિવાસી વિસ્તારમાં 2292 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે એટલે કે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ભૂલકાઓને બેસવા માટે મકાન પણ ઉપલબ્ધ નથી. તે વરવી વાસ્તવિકતા છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિદ્યાર્થીનીઓની હજારો સાઈકલો પણ ધુળ ખાઈ રહી છે.

શ્રમિકોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે

આ ઉપરાંત એક વર્ષ વિત્યુ હોવા છતાં પણ આદિવાસી વિસ્તારમાં સ્વરોજગારી માટેની કીટનુ વિતરણ સુધ્ધાં કરાયુ નથી. આદિવાસી વિસ્તારોમાં કુલ મળીને 2,67,724 બાળકો કુપોષિત છે જે ચિંતાજનક વાત છે. 100 દિવસ રોજગારીની – ગેરંટીની ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે – મનરેગામાં આદિવાસી વિસ્તારમાં 24 થી 34 દિવસની રોજગારી આપવામાં આવે છે. એટલું જ નહી, શ્રમિકોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

બેરોજગારીના કારણે સ્થળાંતર

બેરોજગારીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે જેથી આદિવાસી વિસ્તારોમાંથી સૌથી વધુ સ્થળાંતર થઈ રહ્ય છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના માધ્યમમાં ગેરરીતિ આચરી મળતિયા કોન્ટ્રાકચરો ચાઉં કરી રહ્યા છે છતાં સરકાર આદિવાસી સમાજના વિકાસના નામે જાહેરાતો કરી રહી છે.

પાંચ વર્ષમાં નેશનલ ઓવરસીસ સ્કોલરશીપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ હેઠળ એક જ વિદ્યાથીની પસંદગી થઈ

આદિવાસી વિદ્યાર્થીઓઓના શિક્ષણ-ઉત્થાનની માત્ર વાતો કાગળ ઉપર છે જ્યારે હકીકતમાં મીંડું છે. કેન્દ્ર સરકારની નેશનલ ઓવરસીસ સ્કોલરશીપ ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યોજના હેઠળ માત્ર વર્ષે 20 સીટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં એક જ આદિવાસી વિદ્યાથીની પસંદગી થઈ છે. લાખો વિદ્યાથીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય ત્યારે દેશમાં માત્ર 20 આદિવાસી વિદ્યાથીઓને જ સ્કોલરશીપનો લાભ મળે છે તે દુઃખદ છે. આદિવાસી વિસ્તારના લાખો વિદ્યાથીઓ સ્કોલરશીપ જેવા લાભથી વંચિત રહે તે કેટલા અંશે યોગ્ય છે ?

પ્રિમેટ્રિક સ્કોલરશીપનું ફંડ વધ્યું પણ આદિવાસી લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઇ

છેલ્લા 5 વર્ષમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક અને પોસ્ટમેટ્રિક વિદ્યાથીઓને અપાતી સ્કોલરશીપની ગ્રાન્ટમાં – સતત વધારો થઈ રહ્યો છે જયારે લાભાર્થીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિદ્યાથીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તે ચિંતા ઉપજાવે તેમ છે.

કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ 2019-2020 માં ગુજરાતમાં પ્રિમેટ્રિક સ્કોલરશીપના લાભાથી 1,80,994 હતા તે વર્ષ 2023-2024માં ઘટી 90,755 થઈ ગયા છે.

આ ઉપરાંત વર્ષ 2019-2020માં પોસ્ટમેટ્રિકમાં સ્કોલરશીપ મેળવતા વિદ્યાથીઓની સંખ્યા 2,12,454 હતી. જે વર્ષ 2023-2024 ઘટીને 1,60,555 થઇ ગઇ.

ગુજરાતમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ 2019-2020 માં રૂ. 3391.34 લાખ ફંડ આપવામાં આવ્યુ હતું. જયારે 2023-2024માં રૂ. 5770.95 લાખ ફંડ આપવામાં આવ્યું હતું.

પોસ્ટ- મેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ 2019-2020માં રૂ. 22883.89 લાખ ફંડ આપવામાં આવ્યું જ્યારે વર્ષ 2023-2024માં રૂ. 29051.45 લાખ ફંડ આપવા આવ્યું છે. આમ, ફંડ વધારવામાં આવ્યુ છતાંય આદિવાસી લાભાર્થીઓ ઘટતા જાય. આ કેવી આદિવાસીઓની વિકાસલક્ષી યોજના છે!

Leave a Comment