AMTS ભક્તોને શ્રાવણમાં કરાવશે મફતમાં ધાર્મિક સ્થળોના દર્શન

શ્રાવણ માસને લઈને અમદાવાદ AMTSબસ દ્વારા ખાસ ધાર્મિક બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad, તા.૪

૫ ઓગસ્ટ, ૨૦૨૪ ને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ માસમાં ભગવાનનું ભજન-ભક્તિની સાથે મંદિરોમાં જઈ સાક્ષાત દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે આ વર્ષે શહેરના નાગરિકો સસ્તા દરે શ્રાવણ માસમાં વિવિધ મંદિરે જઈ દર્શન કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ખાસ ધાર્મિક બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અદ્ભુત મહિમા રહેલો છે. કહેવાય છે કે આ માસમાં ભગવાનની પૂજા-આરાધના કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે શહેરમાં આવેલા પૌરાણિક અને ધાર્મિક મંદિરોના ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી AMTS બસ દ્વારા ખાસ ધાર્મિક બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેનું ભાડું પણ નજીવા દરે રાખવામાં આવ્યું છે. જેથી દર્શનાર્થીઓ સરળતાથી ધાર્મિક સ્થળોના દર્શન કરી શકે.

AMTS સત્તાધીશો દ્વારા દર્શનાર્થીઓને શહેરમાં આવેલા ૨૦થી પણ વધુ પૌરાણિક અને ધાર્મિક મંદિરોના દર્શન કરાવવામાં આવશે. જેમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથજી મંદિર, સોમનાથ મહાદેવ (ગ્યાસપુર), લાંભા મંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ચકુડીયા મહાદેવ, નીલકંઠ મહાદેવ (અસારવા). કેમ્પ હનુમાન મંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષર પુરુષોત્તમ મંદિર, ત્રિ-મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), વૈષ્ણવ દેવી મંદિર, તિરુપતિ બાલાજી, સોલા ભાગવત વિદ્યાપીઠ,  હરેકૃષ્ણ મંદિર (ભાડજ), ગુરુ દ્વારા ગોવિંદ ધામ, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), ઇસ્કોન મંદિર, જલારામ મંદિર વગેરે ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ધાર્મિક બસ સેવાનો લાભ લેવા વધુમાં વધુ એક બસમાં ૪૦ પ્રવાસીઓ હોવા જરૂરી છે. બસ પ્રસ્થાન સમય સવારે ૮.૧૫ કલાકેથી પરત સાંજે ૪.૪૫ કલાક સુધીનો રહેશે. આ બસ વ્યવસ્થાનો લાભ લેવા ઈચ્છતા લોકો તેમના નિશ્ચિત કરેલ સ્થળ પર આ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બસ ભાડાની વાત કરીએ તો અ.મ્યુ.કો. હદ વિસ્તારમાં રહેતા પ્રવાસીઓએ પ્રોપર્ટી ટેક્ષ બીલ તથા નાણાં ભર્યાની પહોંચ રજુ કરેથી પ્રતિ બસ રૂપિયા ૩૦૦૦ અને અ.મ્યુ.કો. હદ વિસ્તારથી બહારના પ્રવાસીઓએ પ્રતિ બસ રૂપિયા ૫૦૦૦ ચાર્જ રહેશે. આ રકમ સંસ્થાના મુખ્ય ટર્મિનસ લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ખાતે એડવાન્સ ભરવાની રહેશે. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.

 

Leave a Comment