Indian Organ Donation Day : ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની રાહ

Gujarat,તા.03

રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. અલબત્ત, હાલ કિડનીમાં 1865 અને લીવરના 344 દર્દી અંગદાનની રાહમાં છે.

છેલ્લ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 170 અંગદાન

વર્ષ 2019થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022થી જુલાઈ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે. વર્ષ 2019ની સરખામણીમાં ગત વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128% અને અંગોના દાનમાં 176% નો વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યમાં કુલ 99 ઓર્ગન રીટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે. જેના પરિણામે જ આજે જિલ્લા સ્તર સુધી અંગદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે.

દર વર્ષે 3 ઑગસ્ટે ભારતીય અંગદાન દિવસની ઉજવણી 

દર વર્ષે 3 ઑગસ્ટની ઉજવણી ભારતીય અંગદાન દિવસ તરીકે કરવામાં આવે છે. આ નિમિત્તે આવતીકાલે દિલ્હી ખાતે ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવા બદલ આઇકેડીઆરસીના ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, સુરત સિવિલ હૉસ્પિટલના ડૉ. કેતન નાયકનું ‘નોટ્ટો’ દ્વારા સન્માન કરાશે.

છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1654 અંગોનું દાન મળ્યું

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. જેમાં 908 કિડની, 468 લીવર, 117 હૃદય, 114 ફેફસાં, 14 સ્વાદુપિંડ, 9 નાના આંતરડાં અને 24 હાથનો સમાવેશ થાય છે. જો કે, કેડેવર ડોનેશનમાં હજુ જાગૃતિ વધે તો લાઇવ ડોનર પર મદાર રાખવાનું પ્રમાણ ઘટી શકે એમ છે.

કેડેવર ડોનેશનમાં હજુ જાગૃતિ જરૂરી 

હાલ રાજ્યમાં કિડની માટે 1865, લીવર 344, હૃદય 19, ફેફસાં માટે 27 અને સ્વાદુપિંડ માટે 9 વેઇટિંગ છે. વર્ષ 2022 પ્રમાણે કેડેવર અંગદાનને મામલે તેલંગાણા 194 સાથે મોખરે, તામિલનાડુ 156 સાથે બીજા, કર્ણાટક 151 સાથે ત્રીજા, ગુજરાત 148 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 105 સાથે પાંચમાં સ્થાને છે.

કુલ ટ્રાન્સપ્લાન્ટમાં 50 ટકાથી વઘુમાં માત્ર કિડની 

કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં દેશમાં થયેલા કુલ 12259 ટ્રાન્સપ્લાન્ટમાંથી 9105માં કિડની, 2847માં લીવરનો જ્યારે 2022માં થયેલા 16041 ટ્રાન્સપ્લાન્ટમાંથી 11705માં કિડની, 3920માં લીવરનો સમાવેશ થયો હતો.

સિવિલમાં અંગદાનથી 495ને નવજીવન

અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020માં સૌપ્રથમ અંગદાન થયું હતું. અત્યાર સુધી 158 બ્રેઇનડેડ અંગદાતા પાસેથી મળેલા કુલ 622 અંગોથી 495 વ્યક્તિને નવજીવન મળ્યું છે. મળેલા અંગોમાં 138 લીવર, 282 કિડની, 9 સ્વાદુપિંડ, 48 હૃદય, 6 હાથ, 26 ફેફસાં, 2 નાના આંતરડાં, 3 ત્વચા અને 108 આંખનો સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી અંગદાતા
વર્ષ અંગદાતા
2018 314
2019 710
2020 381
2021 670
2022 827

Leave a Comment