પહેલી August થી જૂતાં-સેન્ડલ મોંઘા થવાની શક્યતા, સરકારે લાગુ કર્યા નવા નિયમ

New Delhi, તા.30

પહેલી ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થવાના હોવાથી જૂતા-સેન્ડલની કિંમતો વધવાની શક્યતા છે. આગામી મહિનાથી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) હેઠળ જૂતાં, ચંપલો, સેન્ડલ્સના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવુ પડશે. સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ, 2024થી અમલી બનશે. જે અનુસાર, ફૂટવેર ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવું પડશે.

સુધારેલા માપદંડ

પહેલી ઓગસ્ટથી લાગુ થનારા સુધારેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અનુસાર, ફુટવેરના ઉત્પાદકોએ IS 6721 અને IS 10702ની દિશાનિર્દેશોનું પાલન કરવુ પડશે. ઉત્પાદકોએ ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવા બદલ ઉત્પાદન માટે વધુ ખર્ચ કરવો પડશે. જેનું સીધું ભારણ ગ્રાહકો પર આવી શકે છે. જો કે, જે ઉત્પાદકોનું ટર્નઓવર રૂ. 50 કરોડથી ઓછું છે. તેઓએ BISના આ નિયમોનું પાલન કરવાની જરૂરિયાત રહેશે નહીં. ફૂટવેરના જૂના સ્ટોક પર પણ નવા નિયમો લાગુ થશે નહીં. વેચાણકર્તાએ BISની વેબસાઈટ પર જૂના સ્ટોકની વિગતો અપલોડ કરવાની રહેશે.

હેતુ

BIS દ્વારા કુલ 46 ચીજ-વસ્તુઓને નવા સુધારેલા નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે. આ નિયમોમાં સુધારા પાછળનો હેતુ ગુડ્સને વધુ મજબૂત અને ટકાઉ બનાવવાની સાથે ગ્રાહકો માટે શ્રેષ્ઠ માલ-સામાન ઉપલબ્ધ કરાવવાનો છે. જેની વિગતવાર માહિતી BISની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગ્રાહકોને થશે લાભ: ગ્રાહકોને ટકાઉ અને સુરક્ષિત સુવિધાઓ સાથે શ્રેષ્ઠ ક્વોલિટીના ફૂટવેર મળશે. નવા માપદંડોથી ફૂટવેર માર્કેટનું એકીકરણ થશે. કારણકે, નાના વેપારીઓ માટે આકરા નિયમોનું પાલન કરવું પડકારરૂપ છે.

BIS શું છે? BISનો અર્થ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ છે. જે ઉત્પાદકો, ગ્રાહકો, નિષ્ણાતો અને સરકારી પ્રતિનિધિઓ સહિત વિવિધ સ્ટેકહોલ્ડર્સને સામેલ કરતાં સર્વસમંતિ આધારિત પ્રક્રિયાના માધ્યમથી માપદંડો નિર્ધારિત કરે છે.

Leave a Comment