‘આજકાલ બધા એવું બતાવવા માગે છે કે તેમનો ધર્મ/ભગવાન સર્વોચ્ચ છે..’ Bombay High Court

Mumbai તા.25

બોમ્બે હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રૂપમાં કથિતરીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને લઈને બે લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવતાં બુધવારે કહ્યું કે આજકાલ લોકો ધર્મને લઈને સંવેદનશીલ થઈ ગયા છે. હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે વ્હોટ્સએપ મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે અને ત્રીજી વ્યક્તિ તેને મેળવી શકતી નથી તો એવામાં એ જોવું જોઈએ કે શું તે ભારતીય દંડ સંહિતા હેઠળ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને અસર કરી શકે છે.

બેન્ચે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક દેશ છે, જ્યાં તમામે બીજાના ધર્મ અને જાતિનું સન્માન કરવું જોઈએ પરંતુ સાથે જ લોકોએ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં પ્રતિક્રિયા કરવાથી બચવું જોઈએ. જસ્ટિસ વિભા કાંકણવાડી અને જસ્ટિસ વૃષાલી જોશીની બેન્ચે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા, શાંતિ વ્યવસ્થાને ભંગ કરવાની સમજી- વિચારેલી ઈચ્છા અને ધમકી આપવાને લઈને 2017માં એક સેનાના અધિકારી અને એક ડોક્ટર વિરુદ્ધ નોંધાયેલી FIR ફગાવી દીધી.

ફરિયાદકર્તા શાહબાજ સિદ્દીકીએ સેનાના કર્મચારી પ્રમોદ શેંદ્રે અને ડોક્ટર સુભાષ વાઘે પર એક વ્હોટ્સએપ ગ્રૂપમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ અપમાનજનક મેસેજ પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદકર્તા પણ તે ગ્રૂપનો ભાગ હતો. સિદ્દીકીએ ફરિયાદ કરી હતી કે આરોપીઓએ પેગંબર મોહમ્મદ વિશે સવાલ ઊભા કર્યાં હતાં અને કહ્યું હતું કે જે વંદે માતરમ બોલતા નથી. તેમણે પાકિસ્તાન જતું રહેવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું, ‘અમે તે જોવા માટે બાધ્ય છીએ કે આજકાલ લોકો પોતાના ધર્મો પ્રત્યે પહેલાની તુલનામાં વધુ સંવેદનશીલ થઈ ગયા છે અને દરેક એ જણાવવા ઈચ્છે છે કે કેવી રીતે તેમનો ધર્મ/ઈશ્વર સર્વોચ્ચ છે.’

Leave a Comment