શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં મહારાજ ચિત્રકેતુની કથા આવે છે. રાજાને કોઈ વાતની કમી નહોતી. સુંદરતા, ઉદારતા, યૌવન, વિદ્યા, ઐશ્વર્ય, સંપત્તિ સઘળું હતું. પણ સંતાન નહોતું. એક દિવસ તેમના દરબારમાં મહર્ષિ અંગિરા પધાર્યા. મહર્ષિ શાપ અને વરદાન આપવામાં સમર્થ હતા. ચિત્રકેતુએ આદરપૂર્વક ઊભા થઈ અર્ધ્ય વિગેરેથી મહર્ષિની વિધિપૂર્વક પુજા કરી. તેમનો સત્કાર કર્યો. મહર્ષિ સામે એક સામાન્ય માણસની માફક જમીન પર બેસીને રાજાએ તેમના ચરણ પખાળ્યા. રાજાની ભક્તિ જોઈ મહર્ષિ પ્રસન્ન થયા. રાજાએ વાતવાતમાં સંતાનના અભાવની વાત કરી. “ભગવન્, એક સંતાન ન હોવાથી આટઆટલા સુખભોગોના સાધનો હોવા છતાં મને શાંતિ મળતી નથી. મારા પર કૃપા કરો.” મહર્ષિ અંગિરાએ ત્વષ્ટા દેવતાને યોગ્ય એક ચરૂ બનાવ્યો. તેનાથી તેનું યજન કરી યજ્ઞાનો અવશેષ પ્રસાદ સૌથી મોટા સદ્ગુણી મહારાણી કૃતદ્યુતિને આપ્યો. સમય આવ્યેથી રાણીના ગર્ભથી એક સુંદર પુત્રનો જન્મ થયો. પુત્ર જન્મના સમાચારથી મહેલનો ખૂણેખૂણો આનંદિત થઈ ગયો. નગરજનોએ ઘેર ઘેર દિવાળી જેવો ઉત્સવ ઉજવ્યો. રાજાએ અઢળક દાન કર્યું.
રાજાનું પુત્ર પ્રત્યે સ્નેહબંધન દૃઢ થવા લાગ્યું. મહારાણી કૃતદ્યુતિનું માન વધી ગયું. બીજી રાણીઓ મનોમન બળવા લાગી. ઈર્ષાએ ભયાનક રૂપ ધારણ કર્યું. શ્રી ભાગવતમાં લખ્યું છે. “વિદ્વેષનષ્ટમતય: સ્ત્રિયોય… નૃપતિ પ્રતિ” (૬-૧૪-૪૩) દ્વેષને કારણે બીજી રાણીઓની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી ગઈ. તેમનાથી પોતાના પતિનો પુત્ર પ્રેમ સહન ના થયો. તેથી તેમણે ઈર્ષાપૂર્વક ખુન્નસથી નાનકડા રાજકુમારને ઝેર આપી દીધું. રાજકુમાર મરી ગયો. હજુ તો નગરજનોના બારણે બંધાયેલા ફૂલોના તોરણ સૂકાયાં પણ નહોતાં, ઘરના આંગણે રંગબેરંગી રંગોળીના રંગો લુછાયા પણ નહોતા- ત્યાં જ રૂદનના ભેંકાર અવાજથી નગરમાં શૂનકાર વ્યાપી ગયો. આખો મહેલ જાણે ખંડેર બની ગયો. સુખ દુ:ખમાં ફેરવાઈ ગયું.
ક્યારેક હઠપૂર્વક કરેલી પ્રાર્થના, ભક્તિ કે તપ કર્યા પછી ઈચ્છેલું સુખ મળે છે. વરદાન સિદ્ધ થાય છે. પણ હજુ એ સુખનો સ્વાદ મન ચાખે એ પહેલા ખીલેલું ફૂલ કે પાકેલું ફળ ડાળ પરથી ખરી પડે એમ સુખ જીવન – ડાળ પરથી ખરી પડે છે. રાજા ચિત્રકેતુના જીવનમાં પણ એવું જ થાય છે. જોકે શ્રીવ્યાસજી ભાગવતમાં કહે છે. આ હઠપૂર્વક માંગેલું સુખ ટકતું નથી ત્યારે રાજા દુ:ખી થાય છે. જીવન જીવવાની આશા છોડી દે છે. ત્યારે અંગિરા ઋષિ તેને સમજાવે છે. આવું દુ:ખ જ જીવનનું સાચું જ્ઞાાન અપાવે છે. દુ:ખની ઘેરી ચોટ જ માણસને મુક્તિ તરફની યાત્રા કરવાનો માર્ગ બતાવે છે.
ન નિત્યં લભતે સુખમ્ – કોઈને કાયમ સુખ મળતું નથી. છતાં જીવ જીવે ત્યાં સુધી મનમાં ધારેલું સુખ મેળવવા આકાશ-પાતાળ એક કરે છે. ખરેખર છલકાતા સુખની માગણી જ વધુ દુ:ખ પહોંચાડે છે. જેનામાં સ્વયંશિસ્ત છે, કામ કરવાની આવડત છે, ધગશ છે, જે દુરંદેશી છે, મહેનતુ છે. તે પ્રાર્થના કે ભક્તિ કરતાં પોતાના અથાક પ્રયત્નોમાં શ્રદ્ધા રાખે છે અને પોતાનું ધ્યેય નક્કી કરી સુખ મેળવી લે છે. જોકે પ્રયત્નો બાદ મળેલું સુખ પણ કાયમ રહેતું નથી.
હોલિવુડ એકટ્રેસ પેનેલોપ ફ્રૂઝને ૨૦૧૦માં તેની એક ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મેળવવો તેના જીવનભરનું સ્વપ્ન હતું. સ્વપ્ન સિદ્ધ થયું. થોડા દિવસો તેને અવર્ણનીય આનંદ થયો. પછી મઝા ઓછી થતી ગઈ. તે દરિયા કિનારે ફરવા જતી તો ત્યાં પણ ટ્રોફી સાથે લઈ જતી. સોફા પર બેઠી હોય, ્.ફ. જોતી હોય કે જમતી હોય ટ્રોફી તેની સામે જ રહેતી. બાળક એકનું એક રમકડું રમીને થાકી જાય એમ પેનેલોપ પણ ટ્રોફી સાથે રાખીને કંટાળી ગઈ. સુખ જતું રહ્યું. આનંદ જતો રહ્યો. છેવટે એ ટ્રોફી સ્ટોરરૂમના અંધારિયા ખૂણામાં મૂકાઈ ગઈ.
સુખ તરસ જેવું છે. તરસ લાગે અને પાણી મળે એટલે શરીરને રાહત થાય, સંતોષ થાય, મઝા આવે, સુખ મળે. પણ તરસ છીપ્યા પછી એ જ પાણી ના ગમે. સુખ ના આપે, આનંદ ના આપે, સુખ એટલે ઈચ્છાપૂર્ણ થવાના સમયે થોડીવાર માટે થતી રાહત. મનને મળતો હાશકારો. ધારેલું મેળવી લીધાની લાગણી.
ચાહે સિકંદર હોય, જ્યુલિયસ સિઝર હોય, મોગલ બાદશાહ હોય કે દુનિયાનો શ્રેષ્ઠ ધનપતિ હોય,… કોઈની ઈચ્છા સંપૂર્ણ થતી નથી. દુનિયા જીતનારા પણ પોતાને હારેલા સમજે છે. ભીડથી અલગ થઈ મનના ખૂણામાં શાંતિથી વિચારીએ તો એક વાત જરૂર સમજાય છે. સુખના સાધનો નહિ. મનનું વલણ આપણને સુખી કરે છે. ઈચ્છેલું સુખ ના મળે ત્યાં સુધી ભ્રમ રહે છે. આજે નહિ કાલે મળશે. પણ જો સુખ મળી જાય તો ભ્રમ તૂટી જાય છે. પછી મળેલું સુખ પણ ભોગવાતું નથી. આપણા જીવનમાં જે મળ્યું છે, જેવું મળ્યું છે, જેટલું મળ્યું છે તેનો સ્વીકાર એટલે સુખ. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, અમીરી-ગરીબી, મિત્ર-પ્રેમિકા, સારા ખોટા સંબંધો, જે રંગો માથા છે તેમાંથી પસંદ કરી મનભાવન આકૃતિ દોર્યા બાદ એક દિલકશ ડિઝાઈનની રંગોળી બનાવવાની કળા એટલે સુખ.
ઋગ્વેદમાં કહ્યું છે સુખને ટકાવી રાખવા માટે તેને ફરી મેળવવા માટે અથવા દુ:ખને સુખમાં ફેરવવા માટે માણસ પાસે દરિયા જેવી અચલ બુદ્ધિ જોઈએ. થોડી ક્ષમા જોઈએ. શક્તિ મુજબ પારકાને મદદ કરનારો સ્વભાવ જોઈએ અને આળસ વગરની ક્રિયાશીલતા જોઈએ.