એક સંત પોતાની શિષ્ય મંડળી સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. માર્ગમાં એક ગામમાં સંતના ખાસ ભક્ત રહેતા હતા. વર્ષોથી તેનો આગ્રહ હતો કે ગુરુ મહારાજ મારા ઘર આંગણે પગલાં કરે, ત્યારે આખા ગામને ભોજન કરાવું. સંતને એ દિશામાંથી જ જવાનું થવું. પૂર્વેથી તૈયારી થઈ ગઈ. સંતે વિચારી રાખ્યું હતું કે આ શેઠ પોતે તો કંઈ કમાતા નથી, પણ તેમની બે-ત્રણ પેઢીથી દાદાઓ ખૂબ સંપત્તિ મૂકીને ગયા હતા, તે જ ખાઈને મોજ-શોખથી રહેતા હતા. આગલા દિવસે શેઠ સંતને મળવા આવ્યા. ઘણી બધી વાતો થઈ. વાતો પછી સંતના પ્રમુખ શિષ્યએ શેઠને કહ્યું : ‘તમને ખ્યાલ છે ને, અમારા ગુરુ ભગવંત અને સર્વ મહાત્માઓ તાજું ભોજન જ વાપરે છે, વાસી નહીં. આ ખાસ ધ્યાન રાખજો. ‘અરે હોય સાહેબ, વાસી ભોજન તો અમે કોઈને આપતા પણ નથી, અને વાપરતા પણ નથી.’ બીજા દિવસે ઠાઠ-માઠથી નગર પ્રવેશ થયો. વર્ષો પછી શેઠના ઘર આંગણે પગલાં થયા. સૌ ખુશ થઈ ગયા.
અલ્પ સમય પછી ભોજન ગ્રહણ કરવાની વિનંતી થઈ. મોટા મોટા તપેલાઓમાં ભોજન લાવવામાં આવ્યું. આમ ઘણું અને ઉત્તમ ભોજન જોઈ સંતે પોતાના શિષ્યોને જોરથી બૂમ પાડી અને કહ્યું : ‘તેં આમને કહ્યું નથી કે આપણે વાસી ભોજન ગ્રહણ કરતા નથી. માત્ર તાજું ભોજન જ લઈએ છીએ.’ ગુરુદેવ, જણાવ્યું જ હતું.’ શિષ્ય પછી શેઠ બોલ્યા : ‘ આમાં વાસી ભોજન કંઈ જ નથી. વહેલી સવારથી ભોજન બનાવવાની તૈયારી ચાલે છે. બધું તાજું જ છે.’
સંત બોલ્યા : ‘તમે જાતે કમાયેલા રૂપિયાથી આ ભોજન તૈયાર થયું છે કે તમારા બાપદાદાઓનાં રૂપિયાથી તૈયાર થયું છે ? ‘ શેઠે કંઈ જવાબ ન આપ્યો તો સંત આગળ બોલ્યા : ‘ જે દિવસે તમે તમારી ખુદની મહેનતથી કમાણી કરો, અને એ કમાણીથી ભોજન તૈયાર થશે, એને હું તાજું ભોજન માનીશ. બાકી આ તાજાં ભોજનને પણ હું તો વાસી ભોજન જ માનું છું.’ અત્યારે આપણે પણ ‘વાસી ભોજન’ તો નથી કરી રહ્યા ને ? તે વિચારવા જેવું છે.