New Delhi,તા,09
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટની આજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે રૂ. 4,406 કરોડના રોકાણ સાથે સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે. આ સાથે ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મફત અનાજ આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ યોજનાઓને કેબિનેટમાં મંજૂરી અપાઈ છે. બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવ્યું છે. સાથે જ કેબિનેટે સરહદી રાજ્યોના વિસ્તારોના પાયાના વિકાસ પર પણ ભાર આપ્યો છે.
‘ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મફત અનાજ મળશે’
કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન, યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, મહત્વાકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના વિતરણને જુલાઈ, 2024થી ડિસેમ્બર, 2028 સુધી ચાલુ રાખવાને મંજૂરી અપાઈ છે.
સરહદી રાજ્યોમાં વિકાસ માટે 4,406 કરોડની મંજૂરી
વડાપ્રધાને બેઠકમાં સરહદી વિસ્તારમાં પાયાના વિકાસ પર ભાર આપ્યો છે. આજે કેબિનેટે સરહદી રાજ્ય પંજાબ અને રાજસ્થાનના વિસ્તારમાં 4,406 કરોડ રૂપિયાના રોકાણથી 2,280 કિલોમીટર રોડના નિર્માણને મંજૂરી આપી છે.
ગુજરાતના લોથલને બનાવાશે દુનિયાનું સૌથી મોટો દરિયાઈ વારસો પરિસર
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે મંત્રીમંડળે ગુજરાતના લોથલને એક રાષ્ટ્રીય દરિયાઈ વારસો પરિસર વિકસિત કરવા મંજૂરી આપી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમૃદ્ધ અને વિવિધ સમુદ્રી વિરાસતને પ્રદર્શિત કરવી અને ‘દુનિયાનો સૌથી મોટો દરિયાઈ વારસો’ પરિસર બનાવવાનો છે.