૨૨ રાજ્યોમાં વીજળી મફત કરો, હું તમારો પ્રચાર કરીશ: Former CM Arvind Kejriwal

દેશમાં તેઓ સત્તા ગુમાવી રહ્યા છે : લોકો સમજી ગયા છે કે ડબલ એન્જિન સરકાર એટલે મોંઘવારી : કેજરીવાલ

New Delhi, તા.૬

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતાં ભાજપને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. ભાજપ પર પ્રહારો કરતાં કેજરીવાલે ચેલેન્જ કરી છે કે, જો ૨૨ રાજ્યોમાં વીજ મફત કરો તો હું પોતે તમારો પ્રચાર કરીશ.

કેજરીવાલે કહ્યું હતું કે, ‘એક્ઝિટ પોલમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપની ડબલ એન્જિન સરકારો બની રહી છે. પરંતુ ડબલ એન્જિન ફેલ થયું છે. ૨૪૦ બેઠકો આવી તેમાં જૂનમાં જ એક એન્જિન તૂટી ગયું હતું.’  વધુમાં ઉમેર્યું હતું કે, ‘આખા દેશમાં તેઓ સત્તા ગુમાવી રહ્યા છે. લોકો સમજી ગયા છે કે ડબલ એન્જિન સરકાર એટલે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી. થોડા દિવસ બાદ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે. હરિયાણામાં પણ ડબલ એન્જિન સરકાર બનાવી હતી, પરંતુ ત્યાંથી લોકો તેમનો સાથ છોડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર હતી. લોકસભામાં અડધી સીટ થઈ ગઈ. મણિપુરમાં સાત વર્ષથી સરકાર હતી, મણિપુર આગમાં ભભૂકી રહ્યુ છે. તો શું આખો દેશ મણિપુર બનાવા માગે છે? હવે આવે તો ઈનકાર કરી દેજો.’

કેજરીવાલે કહ્યું કે ‘તેઓ દિલ્હીની ચૂંટણીમાં પણ તમારી પાસે આવશે અને કહેશે કે અરવિંદ કેજરીવાલ જે કામ કરશે તે અમે પણ કરીશું. હું કહેવા માંગુ છું કે ભાજપ ૨૨ રાજ્યોમાં સત્તા પર છે, શું તેણે ક્યાંય વીજળી અને પાણી ફ્રી કરી છે? ગુજરાતમાં ૩૦ વર્ષથી સરકાર છે અને ત્યાં એક પણ સારી શાળા નથી. જો ભાજપ આ ૨૨ રાજ્યોમાં વીજળી ફ્રી કરશે તો હું દિલ્હીની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરીશ.’

કેજરીવાલના સંબોધન પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ‘ભારતીય રાજનીતિમાં લૂંટ અને વિનાશનો માહોલ છે. આપણા ભાઈ અરવિંદ કેજરીવાલે તેમનો મુકાબલો કરવાનું, ગુંડાઓનો સામનો કરવાનું અને તેમને મેદાન બતાવવાનું કામ કર્યું છે. જ્યારે કેજરીવાલે મફત વીજળી, પાણી, શિક્ષણ, સારવાર, બધું જ મફત આપવાનું શરૂ કર્યું તો, તેઓ તેમને અટકાવવા લાગ્યાં.’

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીનું કામ નહીં અટકવા દઉ ભલે પછી મારે જેલમાં જવુ પડે. બસ માર્શલ્સને રોજગાર આપ્યો છે, જેથી બહેનો-દિકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય. સીસીટીવી લગાવવા માટે પણ સંઘર્ષ કર્યો છે. મોદીજીની ભત્રીજી દિલ્હી આવી હતી, ત્યારે તેનું પર્સ ચોરાઈ ગયુ હતું તો કેજરીવાલે સીસીટીવીની મદદથી શોધખોળ કરી. ભાજપના લોકો દિલ્હીની ૩ કરોડ જનતાનું કામ અટકાવશો નહીં.’

Leave a Comment